રાહુલ ગાંધી વિમાન દુર્ઘટના તપાસમાં સામે આવી મોટી વાત
રાહુલ ગાંધીના વિમાનમાં આવેલી ખામી બાદ આ મામલે ડીજીસીએને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસમાં એ વાત સામે આવી છે કે વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમમાં ખરાબી આવી ગઈ હતી.
રાહુલ ગાંધીના વિમાનમાં આવેલી ખામી બાદ આ મામલે ડીજીસીએને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસમાં એ વાત સામે આવી છે કે વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમમાં ખરાબી આવી ગઈ હતી. વિમાનના ઑટો પાયલટ સિસ્ટમના હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાવાને કારણે વિમાન ઑટો મોડ પર નહોતુ જઈ શક્યું. આ ખામી એ વખતે સામે આવી હતી જ્યારે રાહુત ગાંધીનું ચાર્ટર્ડ પ્લેન નવી દિલ્હીથી હુબલી જઈ રહ્યું હતુ.
મેન્યુઅલી લેન્ડ કરાવવામાં આવ્યુ
આ વિમાન ફૉલ્કન 2000 નું છે કે જે રેલિગેયર એવિએશન કંપનીનું છે. વિમાને જ્યારે ઉડાન ભરી ત્યારે તેની થોડી વાર પછી તેમાં અમુક ટેકનિકલ ખામી સર્જાઈ હતી ત્યારબાદ તેને મેન્યુઅલી લેન્ડ કરાવવામાં આવ્યું હતું. વિમાન ત્રીજી વારમાં લેન્ડ કરી શક્યુ હતું. આ ઘટના બાદ કોંગ્રેસે આની પાછળ ષડયંત્રનો આરોપ લગાવીને તેની તપાસ કરાવવાની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ પોતે જનસભા દરમિયાન કહ્યુ હતું કે તે વખતે મને એવુ લાગ્યુ કે જાણે બધુ ખતમ થઈ ગયુ છે.
પેનલની રચના
ડીજીસીએના સંયુક્ત ડાયરેક્ટર જનરલ લલિત ગુપ્તાએ જણાવ્યુ કે આ મામલાની તપાસ માટે બે સભ્યોની પેનલની રચના કરવામાં આવી છે. આમાં એક સભ્ય ડાયરેક્ટર ઓફ એર સેફ્ટીના છે જ્યારે બીજા સભ્ય ડાયરેક્ટોરેટ એરવર્દીનેસના છે. પેનલને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાનો રિપોર્ટ બે કે ત્રણ સપ્તાહમાં જમા કરાવે આ મામલે કોકપિટ ક્રૂ તેમજ એન્જિનિયરની પણ પૂછપરછ કરવામાં આવી. માનવામાં આવી રહ્યું છે કે સમિતિ ઓપરેશન સ્ટાફ સાથે પણ પૂછપરછ કરશે કે શું વિમાનની જાળવણીમાં કોઈ ગરબડ થઈ હતી કે નહિ.
ઑટો પાયલટ મોડનું કામ ન કરવુ સામાન્ય ન ગણાય
ડીજીસીએના અધિકારીએ વિમાનમાં ટેકનિકલ ખરાબીની વાતની પુષ્ટિ કરતા કહ્યું કે વિમાનના ઑટો પાયલટ મોડમાં કંઈક સમસ્યા હતી, ઘણી વાર પ્રયાસ કર્યા બાદ પણ તેણે કામ ન કરતા વિમાનને મેન્યુઅલી સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યુ. ઑટો પાયલટ મોડનું કામ ન કરવુ એ સામાન્ય વાત નથી. તેની તપાસ થવી જરુરી છે કે આવુ શા કારણે બન્યું. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલે કહ્યું કે જે કંઈ પણ આ વિમાનમાં થયુ છે તે બહુ મોટી ટેકનિકલ ખામી છે. ડીજીસીએને એક ફરિયાદ મોકલી દેવામાં આવી છે. વળી, તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટના પાછળ ષડયંત્ર પણ હોઈ શકે છે. જ્યાં સુધી આ મામલાની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વિમાનના પાયલટ અને તે વિમાનની ઉડાન ભરવા પર રોક લગાવી દેવામાં આવી છે.