મારો પરિવાર શિવભક્ત છે, અમે ધર્મના નામે દલાલી નથી કરતા:રાહુલ ગાંધી
રાહુલ ગાંધીની આસ્થા પર થયા સવાલ તો આપ્યો આ જવાબશિવભક્ત છું, પણ ધર્મના નામે દલાલી નહીં કરુંઆ અંગે વધુ વાંચો અહીં...
રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાત બાદ જે વિવાદ સર્જાયો છે, એ અંગે આખરે તેમણે જાતે ચુપ્પી તોડી છે. તેમણે આ મામલે જવાબ આપતાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીની અનેક મંદિર મુલાકાતો અને એ પછી છેલ્લે સોમનાથ મંદિરની મુલાકાત બાદ ભાજપ સતત તેમની આસ્થા અંગે પ્રશ્નો કરી રહ્યું હતું. આ મામલે રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, તેમનો પરિવાર શિવભક્ત છે.
રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું છે, હું, મારા દાદી અને મારો પરિવાર શિવભક્ત છીએ. અમે નોર્મલી આવી વસ્તુઓ પ્રાઇવેટ રાખીએ છીએ, આ અંગે બોલતા નથી. કારણ કે અમે માનીએ છીએ કે, ધર્મ એ અમારી અંગત વસ્તુ છે, અમારી અંદર છે અને અમારે કોઇને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. આની પર અમે વેપાર કરવા નથી માંગતા કે દલાલી કરવા પણ નથી માંગતા. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ લોકોએ તેમના ખૂબ વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરમાં પ્રવેશ કરવા માટે બિન-હિંદુઓએ એક રજિસ્ટરમાં નોંધ કરાવવાની રહે છે. આ રિજસ્ટરમાં રાહુલ ગાંધીએ હસ્તાક્ષર નહોતા કર્યા, પરંતુ કોંગ્રેસના મીડિયા કૉર્ડિનેટર મનોજ ત્યાગીએ પહેલા જ રાહુલનો પ્રવેશ બિન-હિંદુ તરીકે કરાવી દીધો હતો. જે પછી ભાજપ દ્વારા રાહુલ ગાંધીની આસ્થા પર સવાલ કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા આનો દોષ ભાજપને આપવામાં આવ્યો હતો.