PM મોદી લોકોને નફરતથી અલગ કરી રહ્યા છે, હું પ્રેમનો પુલ બાંધી રહ્યો છૂં - રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે(29 સપ્ટેમ્બર) કેરળમાં છે. કેરળ પહોંચ્યા બાદ મલ્લપુરમમાં એક સભાને સંબોધતા તેમણે દેશની વ્યાખ્યાને લઈને RSS પર નિશાન સાધ્યું હતું.
નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે(29 સપ્ટેમ્બર) કેરળમાં છે. કેરળ પહોંચ્યા બાદ મલ્લપુરમમાં એક સભાને સંબોધતા તેમણે દેશની વ્યાખ્યાને લઈને RSS પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી એ જણાવ્યું કે, સાવરકર જેવા લોકો નકશો દોરીને દેશ બનાવે છે, પરંતુ તે સમજવું પડશે કે દેશ કાગળ પર નથી બન્યો. દેશ ત્યાં રહેતા લોકોથી બનેલો છે. મારા માટે લોકો જ દેશ છે.
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન દેશના લોકોમાં રહેલા પરસ્પરના સંબંધોને તોડી રહ્યા છે. આજે એક સવાલ સતત પૂછવામાં આવી રહ્યો છે કે, ભારત શું છે? જો તમે સાવરકર જેવા લોકોને વાંચશો, તો તેઓ ભારતના ભૂગોળ વિશે વાત કરશે. તેઓ પેન લે છે, નકશો દોરે છે અને કહે છે કે આ ભારત છે. આ રેખાની બહાર ભારત નથી અને આ રેખાની અંદર છે તે ભારત છે, ત્યારે એક સવાલ ઉભો થાય છે કે, જો આ નકશો હોત પણ આ વિસ્તારમાં કોઈ લોકો રહેતા ન હોત તો શું? જો આ પ્રદેશમાં લોકો ન હોત, તો તમે એમ નહીં કહો કે આ ભારત છે. મારા માટે અહીં રહેતા લોકો ભારત છે અને ભારત કોઇ નકશો ભારત નથી.
વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું, તેઓ કહે છે કે ભારત એક ક્ષેત્ર છે, અમે કહીએ છીએ કે, ભારત લોકો છે, સંબંધો છે. તે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે, હિન્દુ, મુસ્લિમ અને શીખ વચ્ચે, તમિલ, હિન્દી, ઉર્દૂ, બંગાળી વચ્ચેનો સંબંધ છે. વડાપ્રધાન મોદી સાથે મારી સમસ્યા એ છે કે, તેઓ આ સંબંધો તોડી રહ્યા છે.
કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે, જો તેઓ (નરેન્દ્ર મોદી) ભારતીયો વચ્ચેના સંબંધો તોડી રહ્યા છે, તો તેઓ ભારતના વિચાર પર વાર કરી રહ્યા છે. તેથી જ હું તેનો વિરોધ કરું છું. તેઓ ભારતીયો વચ્ચેના સંબંધોને તોડી નાખે છે, તેથી ભારતના લોકો વચ્ચે સેતુ બનાવવાનું કામ કરવું મારી ફરજ છે. દર વખતે જ્યારે તે બે ભારતીયો વચ્ચેના પુલને તોડવા માટે નફરતનો ઉપયોગ કરે છે, ત્યારે મારું કામ એ પુલને ફરીથી બનાવવા માટે પ્રેમનો ઉપયોગ કરવાનો છે. સ્વાભાવિક છે કે, હું વિવિધ પરંપરાઓ, વિચારો, વિવિધ ધર્મો, વિવિધ સંસ્કૃતિઓને સમજ્યા વગર આ દેશમાં સેતુ બનાવી શકતો નથી. તેથી જ હું સતત આ દેશને સમજી રહ્યો છું.
રાહુલ આજે કેરળની મુલાકાતે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારના રોજ કેરળ પહોંચી ગયા હતા. તેમના આગમન પર પાર્ટી કાર્યકર્તાઓએ કોઝીકોડ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધી મલ્લપુરમ, કોકીઝાડ ખાતે વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરવા ઉપરાંત રાહુલ અહીં સામાન્ય લોકોને પણ મળશે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત મહિને પણ તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડની મુલાકાત લીધી હતી.