RSS ચીફ મોહન ભાગવતે સેનાનું કર્યું અપમાન? રાહુલે કહ્યું શરમ કરો
આરએસએસના મોહન ભાગવતની સેના પર ટિપ્પણી બની વિવાદનું કારણ. રાહુલ ગાંધી સમેેત સમાજવાદી પાર્ટી કરી ટીકા. વધુ વાંચો અહીં.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સોમવારે ભારતીય સેના મામલે એક વિવાદિત નિવેદન આપ્યું છે. બિહારના મુઝફ્ફરપુરમાં સ્વયંસેવકોને અનુશાસનના પાઠ ભણાવતા મોહન ભાગવતે કહ્યું કે આપણે કોઇ મિલેટ્રી સંગઠન નથી. પણ આપણું અનુશાસન તેમના જેવું જ છે. દેશને ક્યારેક આપણી જરૂર પડે અને આપણું સંવિધાન તેની હા પાડે તો આપણે તૈયાર છીએ. ભારતીય સેનાને તો તૈયાર કરતા 6 થી 7 મહિનાનો સમય લાગે છે પણ આપણા સ્વંયસેવકો આ કામ ખાલી બે થી ત્રણ દિવસમાં કરી શકવામાં સક્ષમ છે. ત્યારે મોહન ભાગવતના ભાષણનો આ વીડિયો વાયરલ થતા હવે તેમનું આ નિવેદન વિવાદોનું કારણ બન્યું છે. જે પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ નિશાનો તાક્યો છે.
રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહ્યું છે કે આરએસએસ પ્રમુખનું ભાષણ દરેક ભારતીયનું અપમાન છે. આ તે લોકોનું અપમાન છે જે આપણા દેશ માટે શહીદ થઇ ચૂક્યા છે. આ આપણા ધ્વજનું અપમાન છે કારણ કે પ્રત્યેક સૈનિક તે ધ્વજને સલામ કરે છે. આ આપણા શહીદો અને આપણી સેનાનું અપમાન છે. અને આ માટે શ્રી ભાગવતને શર્મ આવવી જોઇએ.
તો બીજી તરફ આગરામાં સમાજવાદી પાર્ટીના નેતાઓએ આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પર ભારતીય સેનાનું અપમાન કર્યો હોવાનો આરોપ લગાવીને આરએસએસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. વધુમાં તેમનું પૂતળું પણ બાળ્યું હતું. સાથે જ મોહન ભાગવતને આ મામલે જાહેરમાં માફી માંગવાની વાત પણ કરી હતી. આમ ભાગવતના નિવેદન પછી આ મુદ્દા હાલ ચર્ચાનું કારણ બન્યું છે.