મોંઘવારી મુદ્દે રાહુલના પ્રહાર, દેશમાં આર્થિક અને નેતૃત્વનું સંકટ-રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન પર નારાજગી વ્યક્ત કર્યા બાદ બુધવારે તેમણે તેલ અને ગેસના વધતા ભાવોને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેલના વધતા ભાવને કારણે સામાન્ય લોકો દુખી છે. તેની સીધી અસર જનતાના ખિસ્સા પર પડે છે. બીજી બાજુ પરિવહનમાં વધારો થવાને કારણે ફુગાવો વધે છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ મીટિંગમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે ભારત આર્થિક અને નેતૃત્વના સંકટમાં છે.
ભાજપ સરકાર પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ અગાઉ કહ્યું હતું કે હું નોટબંધી કરી રહ્યો છું અને નાણામંત્રી કહેતા રહે છે કે હું મુદ્રીકરણ કરી રહ્યો છું. ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારો, MSMEs, પગારદાર વર્ગ, સરકારી કર્મચારીઓ અને પ્રામાણિક ઉદ્યોગપતિઓનું ડિમોનેટાઇઝેશન થઇ રહ્યું છે અને મોદીજીના 4 મિત્રોનું મુદ્રીકરણ કરવામાં આવી રહ્યું છે.
ગેસ સિલિન્ડરની વધતી કિંમતો પર રાહુલ ગાંધીએ કહ્યું કે 2014 માં જ્યારે યુપીએએ ઓફિસ છોડી ત્યારે સિલિન્ડરની કિંમત 410 રૂપિયા હતી અને આજે સિલિન્ડરની કિંમત 885 રૂપિયા છે. સિલિન્ડરની કિંમતમાં 116%નો વધારો થયો છે. 2014 થી પેટ્રોલની કિંમતમાં 42% અને ડીઝલની કિંમતમાં 55% નો વધારો થયો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત આજની સરખામણીમાં 32% વધારે હતી અને ગેસની કિંમત 26% વધારે હતી. ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી રહ્યા છે અને ભારતમાં વધી રહ્યા છે. બીજી બાજુ અમારી મિલકતો વેચવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું કે કેન્દ્ર સરકારે જીડીપી એટલે કે ગેસ, ડીઝલ, પેટ્રોલથી 23 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ 23 લાખ કરોડ રૂપિયા ક્યાં ગયા?
પીએમ અને નાણામંત્રી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી, નાણામંત્રી ગભરાટમાં છે, તેમને સમજાતું નથી કે શું કરવું? આપણા વડાપ્રધાન ડરી ગયા છે, આ જોઈને ચીન પણ પોતાની યોજના બનાવી રહ્યું છે કે જો ભારત આર્થિક અને નેતૃત્વની કટોકટીમાં હોય તો આપણે જે કરી શકીએ તે કરી લઈએ.