રેલવેના મુસાફરી ભાડામાં 14.2 ટકાનો વધારો, 25 જૂનથી અમલી
નવી દિલ્હી, 20 જૂન : રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ જણાવ્યું છે કે રેલવેના મુસાફરી ભાડામાં 14.2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ટ્રેન મુસાફરી 25 જૂનથી મોંઘી થઈ જશે. આમ કરવાથી રેલવેને રૂપિયા 8000 કરોડની આવક મળશે.
ભારતીય રેલવેએ માલની હેરફેર માટેના નૂરનાં દરોમાં પણ વધારો કર્યો છે. આ વધારો 6.5 ટકા છે. રેલવે મંત્રીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે, ઉતારુ ભાડાં અને નૂરનાં દરોમાં વધારો કરવાનું અનિવાર્ય છે, કારણ કે રેલવેની નાણાકીય સ્થિતિ એટલી સારી નથી.
આ પહેલાની યુપીએ સરકારે લોકસભાની ચૂંટણી પૂર્વે, ગયા ફેબ્રુઆરીમાં વચગાળાના રેલવે બજેટમાં ઉતારુ ભાડાંમાં વધારો કરવાનું ટાળ્યું હતું.
રેલવેએ ગઈ 16 મેના રોજ મુસાફરી ભાડાંમાં 14.2 ટકા અને 20 મેએ નૂરનાં દરોમાં 6.5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, પણ તેનું નોટિફિકેશન બહાર પાડવાનું મોકૂફ રાખ્યું હતું અને તે નિર્ણય નવા રેલવે પ્રધાન પર છોડી દીધો હતો.
ભારતીય રેલવે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે. તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને વિસ્તારવા માટે નાણાની જરૂર છે. આ નાણા યાત્રી ભાડામાંથી વસૂલ કરવાનો નિર્ણય લેવાયો છે. વર્તમાનમાં પેસેન્જર સબ્સિડીનો આંક રૂપિયા 26,000 કરોડને સ્પર્શી ગયો છે.