રેલવેએ ભાડામાં 10થી 15 ટકાના વધારાની તૈયારી કરી
રેલવેએ સૂચિત રેલ ટેરિફ ઓથોરિટી (આરટીએ)ની દરખાસ્તોને અંતિમ સ્વરૂપ આપી દેતાં આ વધારો આવી શકે છે. જાન્યુઆરીમાં મંજૂરી માટે તે રજૂ કરવામાં આવશે. રવિવારે આ મુદ્દે રાજ્યકક્ષાના રેલવે પ્રધાન કે જે સૂર્યપ્રકાશ રેડ્ડીએ જણાવ્યું હતું કે 'રેલ બજેટ (2013-14)માં ઉતારું ભાડામાં કિલોમીટર દીઠ પાંચથી દસ પૈસાનો વધારો થવો જોઇએ. આગામી રેલ બજેટમાં લોકોએ આ અંગે તૈયાર રહેવું પડશે. અમને પૈસાની જરૂર છે. નહીંતર રેલવે બેઠી થઇ શકશે નહીં.'
આ મુદ્દે અન્ય રેલવે રાજ્યકક્ષાના પ્રધાન અધીર રંજન ચૌધરીએ પણ ભાડામાં વધારાની હિમાયત કરી હતી. તેમનું કહેવું હતું કે રેલવેની આર્થિક સ્થિતિ સારી નથી. જેના કારણે આ પગલાંની જરૂર છે. આ વર્ષે રેલવેને મુસાફર ક્ષેત્રે રૂપિયા 22,000 કરોડની જંગી ખોટ થઇ હતી. ગત વર્ષની સરખામણીએ રૂ. 4,000 કરોડની ખાધ વધી છે.
આ અંગે સીનિયર રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફર ભાડું વધારવું કે કેમ તે અંગે નિર્ણય લેવાની જરૂર છે. હવે તે રેલવે બજેટમાં જાહેર કરાશે કે વહેલાં તે અંગે નિર્ણય લેવાની જરૂર છે. સંભવિત વધારાની પ્રમાણ અંગે તેમણે કહ્યું હતું કે તે 10થી 15 ટકાની વચ્ચે રહેવાની શક્યતા છે.
રેલવેની કામગીરીની સમીક્ષા કરીને વડાપ્રધાનની કચેરીએ રેલવે બોર્ડના ચેરમેનને સૂચિત આરટીએ ચાલુ રાખવા અંગે તેની ભલામણો 31 ડિસેમ્બર પહેલાં સબમિટ કરવાની રેલવે બોર્ડના ચેરમેનને સૂચના આપી હતી.