PM મોદીએ યોગા અને નોટબંધીમાં 3 વર્ષ વેડફ્યા: રાજ ઠાકરે
મુંબઇમાં એલફિંસ્ટન રોડ સ્ટેશન પર થયેલ ઘટના બાદ મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.
મુંબઇના એલ્ફિંસ્ટન સ્ટેશન પર થયેલ અકસ્માત બાદ ગુરૂવારે તેના વિરોધમાં મનસે સુપ્રીમો રાજ ઠાકરેએ મહારેલી કાઢી હતી. પોલીસ દ્વારા આ રેલીની પરવાનગી આપવામાં નહોતી આવી. આમ છતાં, રાજ ઠાકરેની આગેવાનીમાં મહારેલી કાઢવામાં આવી હતી અને આ દરમિયના રાજ ઠાકરેએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, મોદી સરકારે વિશ્વાસઘાત કર્યો છે, લોકોએ તેમને એમ વિચારીને બહુમત આપ્યો હતો કે તેઓ સારા દિવસો(અચ્છે દિન) લાવશે, પરંતુ એ માત્ર પોકળ નિવેદનો નીકળ્યાં. કોંગ્રેસ સરકારમાં જે હાલત હતી, એવી જ પરિસ્થિતિ ભાજપ સરકારમા પણ છે. કોઇ પરિવર્તન નથી આવ્યું.
રાજ ઠાકરેએ આગળ કહ્યું કે, મોદીએ જ્યારે બુલેટ ટ્રેન અંગે જાહેરાત કરી હતી, ત્યારે જ હું તેમનો ઇરાદો સમજી ગયો હતો. મુંબઇકરો બુલેટ ટ્રેનમાં બેસી અમદાવાદ જઇ શું ઢોકળા ખાશે? મેં આજ સુધી મારા જીવનમાં આટલું જૂઠ્ઠું બોલતા વડાપ્રધાન નથી જોયા, જે પહેલા કંઇ બીજું બોલે છે અને પછી કંઇ બીજુ. તેમણે યોગા અને નોટબંધીમાં ત્રણ વર્ષો વેડફી નાંખ્યા છે. રાજ ઠાકરેએ રેલવેને પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, આગલા 15 દિવસમાં મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે પોતાના તમામ સ્ટેશનો પાસેથી ગેરકાયદેસર બેસતા ફેરીવાળાને ખસેડે, નહીં તો અમે અમારી રીતે કાર્યવાહી કરીશું. અત્યારે તો અમે સરકાર સામે શાંતિપૂર્ણ મોરચો કાઢ્યો છે, પરંતુ બીજી વાર આવું નહીં થાય. અમે ચૂપ નહીં રહીએ.
Mumbai: MNS Chief Raj Thackeray joins MNS workers protesting in Metro Cinema area over #ElphinstoneStampede; Police had denied permission. pic.twitter.com/d7wmgNE4iL
— ANI (@ANI) October 5, 2017
તેમણે આગળ કહ્યું કે, રેલવે અનુસાર વરસાદને કારણે નાસભાગ થઇ હતી, પરંતુ શું મુંબઇમાં પહેલીવાર વરસાદ પડ્યો છે? આ પહેલા પણ મુંબઇમાં ભારે વરસાદ પડ્યો છે, પરંતુ લોકોની આવી હાલત ક્યારેયય નથી થઇ. રેલવે વરસાદનું બહાનું કાઢી પોતાની ગેરજવાબદારી ઢાંકી રહી છે. ઉલ્લેખનીય છે કે, મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મુંબઇના એલફિંસ્ટન રેલવે સ્ટેશન પર થયેલ અકસ્માત બાદ વેસ્ટર્ન રેલવે હેડક્વૉર્ટરથી રેલી કાઢવાની ઘોષણા કરી હતી. આ ઘટનામાં 23 લોકોનું મૃત્યુ થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.