#Rajinikanth:રાજકારણમાં ઝંપલાવશે રજનીકાંત, કરી જાહેરાત
રજનીકાંતે રાજકારણમાં જોડાવાની કરી ઘોષણા પોતાની અલગ પાર્ટી બનાવશે રજનીકાંત આ અંગે વધુ વાંચો અહીં...
રજનીકાંત રાજકારણમાં જોડાશે કે કેમ એ અંગેની ચર્ચાઓ અને અટકળોનો આખરે અંત આવ્યો છે. તમિલ સિનેમામાં ભગવાન ગણતા રજનીકાંતે રવિવારે સવારે જ રાજકારણમાં જોડાવાના ઘોષણા કરી છે. ચેન્નાઇ સ્થિત રાઘવેન્દ્ર હોલમાં તેમણે આ ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, આ સમયની જરૂરિયાત છે. આ સાથે જ તેમણે તમિલનાડુની તમામ 234 બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. રજનીકાંતના રાજકારણમાં પ્રવેશવાથી તમિલનાડુના રાજકીય સમીકરણમાં મોટા પરિવર્તનો થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. રજનીકાંતે જણાવ્યું હતું કે, તેઓ પોતાની અલગ નવી રાજકીય પાર્ટી બનાવશે.
રજનીકાંતે કહ્યું કે, આ સમયે રાજ્યની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, નેતા આપણા જ પૈસા લૂંટી રહ્યા છે, એવામાં મારું રાજકારણમાં આવવું ખૂબ જરૂરી બની જાય છે. જ્યાં પણ સત્તાનો દુરૂપયોગ થશે, હું એની સામે ઊભો રહીશ. આજે ચારે બાજુ ભ્રષ્ટાચાર અને રાજકારણનું માત્ર નાટક ભજવાઇ રહ્યું છે. હું નામ, પૈસા કે લોકપ્રિયતા મેળવવા માટે રાજકારણમાં નથી આવી રહ્યો. તમિલનાડુની રાજનીતિમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. અમે વ્યવસ્થા બદલીશું. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા કરશે. રજનીકાંતના પત્ની લતા રજનીકાંતે આ અંગે કહ્યું હતું કે, હું એમની સાથે છું. તો બીજી બાજુ, કેટલાક માસ પહેલાં તમિલ સુપરસ્ટાર કમલ હસને પણ કહ્યું હતું કે, જો રજનીકાંત રાજકારણમાં આવે તો તેઓ ચોક્કસ જ એમની સાથે કામ કરવા ઇચ્છશે.