રજનીકાંતની રાજકારણમાં એન્ટ્રીથી થશે ભાજપને ફાયદો!
દક્ષિણ ભારતના રાજકારણમાં રવિવારે મોટો ભુકંપ આવી ગયો હતો. દક્ષિણી ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે રવિવારે જે રીતે રાજકારણમાં જોડાવાની વાત કરી છે ત્યારથી જ તમિલનાડુની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
દક્ષિણ ભારતના રાજકારણમાં રવિવારે મોટો ભુકંપ આવી ગયો હતો. દક્ષિણી ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે રવિવારે જે રીતે રાજકારણમાં જોડાવાની વાત કરી છે ત્યારથી જ તમિલનાડુની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. રજનીકાંત અને તમિલનાડુની વાત કરવામાં આવે તો ત્યાનાં લોકો તેને સિનેમાના મોટા પડદા પર ભગવાનની જેમ પૂજે છે. પરંતુ તેમની આ રાજનૈતિક સફર કેવી રહેશે તે તો આવનારો સમય જ બતાવશે. રજનીકાંતની રવિવારની જાહેરાતથી રાજ્યની વિધાનસભાની ચૂંટણી ઉપરાંત વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પર પણ અસર થશે.
રજનીકાંતથી ભાજપને ફાયદો
ભારતમાં હાલ ચારે તરફ ભગવો લહેરાઇ રહ્યો છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપની જીત બાદ હવે તે 2019માં આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. આ સમયે રજનીકાંતની રાજકારણમાં એન્ટ્રી તેમના માટે ફાયદાકારક રહી શકે છે. રાજનૈતિક તજજ્ઞોનું માનીએ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહને રજનીકાંતના ઘણા ખાસ માનવામાં આવે છે. જો રજનીકાંત તમિલનાડુમાં પોતાના નવા પક્ષની શરૂઆત કરે તો તેમાં પણ ભાજપને ફાયદો જ છે. જયલલિતાના ગઢમાં ભાજપની સરકાર બનાવવી મુશ્કેલ હતી. અહીં રાજ્યમાં મોટા ભાગે તેની સ્થાનિક પક્ષને લોકો વધારે પસંદ કરે છે અને રજનીકાંત ભાજપ અને ત્યાંની સ્થાનિક પાર્ટી વચ્ચેની ખૂટતી કડી પુર્ણ કરે એવી શક્યતા છે.
તમિલનાડુમાં રાજકીય કટોકટી
રજનીકાંતે રાજકારણમાં એવા સમયે એન્ટ્રી કરી છે, જ્યારે તમિલનાડુમાં એક તરફ રાજકીય કટોકટી ચાલી રહી છે. જયલલિતાના નિધન પછી એઆઇએડીએમકે પાર્ટીમાં અંદરો અંદર ફુટ પડી ગઇ છે. આ પાર્ટીનું યોગ્ય નેતૃત્વ કરે એવું કોઇ નથી. જયલલિતાના નિધન બાદ પન્નીરસેલ્વમ અને શશિકલા વચ્ચે સતત તણાવ રહ્યો છે. આવા સમયે રાજકારણમાં રજનીકાંતનો પ્રવેશ, જેઓ લોકોમાં ઘણા લોકપ્રિય છે, એ સત્તાધારી પક્ષ માટે ચિંતા સમાન છે.
એક નેતાની શોધ
તમિલનાડુની રાજનીતિમાં હંમેશા એક લોકપ્રિય ચહેરો જ તેની રાજકીય શાખ બેસાડવામાં સફળતા મેળવે છે. તમિલનાડુમાં અત્યાર સુધી આવેલા રાજકીય શાસકોમાં મોટા ભાગે અભિનેતાઓનો મોટો ફાળો જોવા મળે છે. સૌ પહેલા એમજીઆર એ બાદ આવ્યા કરૂણાનિધી અને તે બાદ જયલલિતા. જ્યારથી જયલલિતાનું નિધન થયુ ત્યારથી એક એવા અભિનેતાની શોધ ચાલી રહી હતી જે નેતા બની શકે. તમિલનાડુના લોકો સુપરસ્ટાર રજનીકાંતને ભગવાનની જેમ પૂજે છે. આ ઉપરાંત ડીએમકે અને એઆઇએડીએમકેમાં જેવા બે મોટા પક્ષોમાં પણ આવા કોઈ મોટા કદના નેતાની સતત ખોટ વરતાતી રહી છે. પરંતુ જોવાનું એ છે કે શું રજનીકાંતને પણ લોકો જયલલિતા અને એમજીઆરની જેમ સ્વીકારશે?
ડીએમકે અને એઆઇએડીએમકેની ખરાબ સ્થિતિ
તમિલનાડુની રાજનીતિમાં ઉત્તર પ્રદેશની જેમ જ બે પાર્ટીઓ મોટા ભાગે સરકાર બનાવતી રહી છે. સૌ પહેલા ડીએમકે અને તે બાદ એઆઇએડીએમકે. જો ડીએમકેની વાત કરવામાં આવે તો તે પાર્ટીના કદાવર નેતા કરૂણાનિધિ હાલ તેમની ખરાબ તબિયતને કારણે રાજકારણથી દુર છે. તેમની પાસે હવે એવો કોઇ બીજો ચહેરો નથી જેના સહારે તેઓ આવનારી ચૂંટણીને જીતી શકે. એવી જ હાલત એઆઇએડીએમકેની થઇ છે. જયલલિતાના નિધન બાદ ઓપીએસ અને ઇપીએસની વચ્ચે સતત તણાવની સ્થિતિ જોવા મળી છે. આ સમયે જે રીતે ટીટીવી દિનકરણે આરકે નગરની ઉપચૂંટણીમાં ભારી મતોથી જીત મેળવી ત્યારથી રાજકીય સંકટ વધી ગયુ હતું. આ સમયે એક નવા ત્રીજા વિકલ્પની રાજ્યને જરૂર હતી. જે આવનાર સમયમાં રજનીકાંત પુરી કરી શકે છે.