રાજ્યસભા ડેપ્યુટી ચેરમેન ચૂંટણીમાં એનડીએનો સાથે આપશે શિરોમણિ અકાલી દળ
રાજ્યસભામાં ઉપસભાપતિ (ડેપ્યુટી ચેરમેન) પદ માટે ચૂંટણીની તારીખનું એલાન થઈ ચૂક્યુ છે. ડેપ્યુટી ચેરમેન પદ માટે આગામી 9 ઓગસ્ટે ચૂંટણી થશે.
રાજ્યસભામાં ઉપસભાપતિ (ડેપ્યુટી ચેરમેન) પદ માટે ચૂંટણીની તારીખનું એલાન થઈ ચૂક્યુ છે. ડેપ્યુટી ચેરમેન પદ માટે આગામી 9 ઓગસ્ટે ચૂંટણી થશે અને એનડીએ તરફથી જેડીયુના રાજ્યસભા સાંસદ હરિવંશ નારાયણ સિંહને આ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ચૂંટણી અંગે નારાજ માનવામાં આવી રહેલા શિરોમણિ અકાલી દળે એલાન કર્યુ છે કે તે એનડીએ સાથે છે અને ગઠબંધનના ઉમેદવારનું સમર્થન કરશે. આ પહેલા સમાચાર હતા કે જેડીયુ ઉમેદવાર અંગે ભાજપનો મુખ્ય સહયોગી પક્ષ શિરોમણિ અકાલી દળ નારાજ છે અને તે ચૂંટણીથી દૂર રહી શકે છે.
રાજ્યસભામાં છે અકાલી દળના ત્રણ સાંસદ
ઉલ્લેખનીય છે કે સોમવારે સમાચાર આવ્યા હતા કે શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે પક્ષ રાજ્યસભાની ઉપસભાપતિ ચૂંટણીથી દૂર રહેશે. જણાવવામાં આવી રહ્યુ છે કે શિરોમણિ અકાલી દળ ડેપ્યુટી ચેરમેન પદ જેડીયુને આપવાથી નારાજ છે. જો કે આ અંગે મંગળવારે સવારે અકાલી દળની બેઠક થઈ જેમાં નિર્ણય કરવામાં આવ્યો કે રાજ્યસભામાં એનડીએના ઉમેદવારનું સમર્થન કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતે અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલ સાથે આ વિશે વાત કરી હતી.
ભાજપ પાસે રાજ્યસભામાં બહુમત નહિ
શિરોમણિ અકાલી દળના નેતા પ્રેમ સિંહ ચંદૂમાજરાએ પણ આ સમાચારોનું ખંડન કર્યુ છે. અકાલી દળના નારાજગીના સમાચારો પર પ્રતિક્રિયા આપતા ચંદૂમાજરાએ કહ્યુ કે, ‘એવું કંઈ જ નથી, અમે એનડીએથી અલગ નથી. ના તો અમે અમારા ઉમેદવાર માટે અનુરોધ કર્યો છે કે ના તો ભાજપ સાથે અમારી કોઈ અસંમતિ હતી. આ પ્રકારની બધી વાતો અફવાઓ છે.' તમને જણાવી દઈએ કે ભાજપના નેતૃત્વવાળી એનડીએ પાસે રાજ્યસભામાં બહુમત નથી.
જૂનથી ખાલી છે રાજ્યસભામાં ઉપસભાપતિનું પદ
આ પહેલા સોમવારે જ રાજ્યસભામાં સભાપતિ વેંકૈયા નાયડુએ સંસદમાં જણાવ્યુ હતુ કે 9 ઓગસ્ટે સવારે 11 વાગે ડેપ્યુટી ચેરમેનના પદ માટે ચૂંટણી થશે. આ સાથે વેંકૈયા નાયડુએ સલાહ આપી કે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન સર્વસંમતિથી પસંદ થવા જોઈએ. આ પદ માટે 8 ઓગસ્ટના રોજ બપોર પહેલા ઉમેદવારીનું ફોર્મ ભરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ઉપસભાપતિ પીજે કુરિયનનો કાર્યકાળ જૂનમાં ખતમ થયા બાદથી રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેનનું પદ ખાલી છે. પીજે કુરિયન કેરળમાંથી કોંગ્રેસની ટિકિટ પર રાજ્યસભા માટે ચૂંટાઈને આવ્યા હતા.