જામીન મેળવવા બુરખામાં કોર્ટ પહોંચી હતી રાખી સાવંત
મહર્ષિ વાલ્મિકી પર વાંધાજનક ટિપ્પણી મામલે જામીન મેળવવા માટે રાખી સાવંત બુરખો પહેરી લુધિયાના કોર્ટ પહોંચી હતી.
ગુરૂવારે અભિનેત્રી રાખી સાવંત બુરખામાં લુધિયાણા કોર્ટમાં પહોંચી હતી. એક ટીવી કાર્યક્રમ દરમિયાન મહર્ષિ વાલ્મિકી અંગે આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ રાખી સાવંત વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે જામીન મેળવવા માટે તેણે કોર્ટમાં હાજરી આપી હતી. રાખી સાવંતને આ મામલે કોર્ટ તરફથી જામીન મળી ગયા છે.
બુરખો બન્યો ચર્ચાનો વિષય
એક-એક લાખના બે બોન્ડ ભર્યા બાદ રાખી સાવંતના જામીન મંજૂર રાખવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, 2 જૂનના રોજ રાખી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડવામાં આવ્યું હતું અને આ સાથે જ કોર્ટે લુધિયાણા પોલીસને જણાવ્યું હતું કે, તેઓ 7 જુલાઇ પહેલાં રાખી સાવંતને કોર્ટમાં રજૂ કરે. જો કે, જામીન મેળવવા કોર્ટ પહોંચેલ રાખી સાવંતના કેસ કરતાં તેણે ધારણ કરેલ બુરખાએ વધુ ચર્ચા જગાવી હતી.
શું છે મામલો?
રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ તથા આમ કરી લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ રાખી પર હતો. રાખીએ કહ્યું હતું કે, મહર્ષિ વાલ્મિકી ડાકૂમાંથી સંત બન્યા હતા અને એ જ રીતે મિકા સિંહ પણ બદલાઇ ગયા છે. રાખીની આ ટિપ્પણી બાદ વાલ્મિકી સમુદાયના લોકોએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
વિવાદો સાથે જૂનો સંબંધ
રાખી સાવંતને બોલિવૂડમાં એક દશકાથી વધુ સમય થઇ ચૂક્યો છે અને તેનું નામ ફિલ્મો કરતાં વધારે વિવાદોમાં ચમકે છે. રાખી સાવંતની બોલ્ડ તસવીરો, વિચિત્ર નિવેદનો અને ટિપ્પણીઓ, અચાનક રાજકારણમાં પ્રવેશવા જેવા નિર્ણયોને કારણે તે અવાર-નવાર સમાચારોમાં જોવા મળે છે.
મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને આપી સલાહ
થોડા સમય પહેલાં જ રાખી સાવંતે ફેસબૂક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેણે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનને એક બીમાર બાળકની મદદ કરી પોતાના પાપ ધોવાની સલાહ આપી હતી. મુંબઇની કોકીલાબહેન હોસ્પિટલમાં એક બાળકની સારવાર થઇ રહી છે અને હાલ અભિનેતા એજાઝ ખાન આ બાળકની સારવારનો તમામ ખર્ચો આપી રહ્યાં છે.