CBI કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે રામ રહીમ
સીબીઆઇ કોર્ટની સજા વિરુદ્ધ રામ રહીમે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી કરી છે.
બે સાધ્વીઓ પર બળાત્કારના મામલે સીબીઆઇ અદાલત દ્વારા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા વિરુદ્ધ રામ રહીમે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અપીલ કરી છે. સીબીઆઈની પંચકૂલા અદાલતે ગત મહિને જ રામ રહીમને સાજ સંભળાવી હતી, હાલ તે રોહતક જેલમાં બંધ છે. આ મામલાની સુનવણીમાં 25 ઓગસ્ટના રોજ રામ રહીમને દોષી ઠરાવવામાં આવ્યો હતો.
બળાત્કારના બે મામલામાં ગુરમીત રામ રહીમને 10-10 વર્ષની સજા થઇ છે. આ મામલે ડેરા તરફથી સતત એમ જ કહેવાઇ રહ્યું છે કે, ગુરમીત રામ રહીમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. બળાત્કાર સિવાય રામ રહીમ પર ડેરાના સાધુઓની હત્યાના ગંભીર આરોપો પણ છે. આ બધા વચ્ચે રામ રહીમ અને હનીપ્રીતના સંબંધો અંગે પણ અનેક ખુલાસા થઇ રહ્યા છે. રામ રહીમને સજા સંભળાવવામાં એ પછી હરિયાણામાં હિસા ફાટી નીકળી હતી, જેમાં 39 લોકો મૃત્યુ પામ્યા હતા. આ કારણે હરિયાણા અને પંજાબના કેટલાક શહેરોમાં કરફ્યુ પણ લાગુ કરવામાં આવ્યો હતો.