ઇટલીના ઇશારે નાચે છે ભારત સરકાર: રામદેવ
જ્યારે બાબા રામદેવને પાકિસ્તાન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે પ્રશ્નને ટાળતા જણાવ્યું કે પાકિસ્તાન પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં. ત્યારબાદ રામદેવે અત્રે ત્રણ દિવસીય વન વિકાસ શિબિરનું ઉદઘાટન કર્યું અને તેમણે પોતાનું જીવન સફળ બનાવવા માટે દવા, દારૂ અને વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહી કરવા પર ભાર મૂક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કેરળના બે માછીમારો પર ફાયરિંગ કરી તેમની હત્યા કરનાર બે ઇટાલિયન મરિન્સને મતદાનનો હવાલો આપીને સ્વદેશ લઇ જનાર ઇટલી સરકારે પોતાના બે મરિન્સને ભારત પરત મોકલવાનો ઇનકાર કરી દીધો છે. બાબાએ આ આંતરરાષ્ટ્રીય મુદ્દાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો.
ભારતીય સુપ્રિમ કોર્ટે ઇટલીના બંને મરિન્સને મતદાન કરવા માટે સ્વદેશ જવા માટેની પરવાનગી આપી હતી, જોકે સુપ્રિમ કોર્ટે ઇટલીના રાજદૂતને ભારત બહાર નહી જવાના આદેશ આપ્યા છે. તેમજ ઇટલી સરકાર અને બંને મરિન્સને પણ 20 માર્ચ સુધી જવાબ આપવા નોટિસ ફટકારી છે.