સંત રામપાલને 4માંથી 2 કેસમાં રાહત, પરંતુ રહેશે હજુ જેલમાં
વિવાદીત ગુરુ રામપાલને આજે હરિયાણા કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. જેમા ચાર કેસો માંથી બે કેસોમાં સંત રામપાલને રાહત મળી. તેમની પર સરકારના કામમાં વિરોધ ઊભો કરવા અને લોકોને જબરદસ્તી પૂરી રાખવાનો આરોપ છે.
હરિયાણાના પ્રસિદ્ધ સતલોક આશ્રમના સંચાલક સંત રામપાલ વિરુદ્ધ ચાર કેસ ચાલી રહ્યા હતા. જેની સુનાવણી મંગળવારે હરિયાણાની હિસાર કોર્ટમાં થઈ હતી. કોર્ટ દ્વારા સંત રામપાલને સરકારી કામમાં અવરોધ ઊભો કરવાના અને લોકોને બંધક બનાવી રાખવાના કેસમાં રાહત આપવામાં આવી છે, જ્યારે રાજદ્રોહ અને હત્યાનો કેસ હજુ ચાલુ રાખ્યો છે. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ બે કેસ અંગે કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી સંત રામપાલને જેલમાં જ રહેવું પડશે. ગત બુધવારે સંત રામપાલ વિરુદ્ધ એફઆઇઆર નંબર 201,426,427 અને 443 હેઠળ સુનવણી થઇ હતી. સંત રામપાલ પર સરકારી કાર્યમાં અવરોધ ઊભો કરવાનો અને લોકોને બળજબરીથી બંધક બનાવવાનો આરોપ છે. આ કેસમાં સંત રામપાલ સહિત પ્રીતમ સિંહ, રાજેન્દ્ર, રામફલ, વિરેન્દ્ર, પુરુષોત્તમ બલજીત, રાજકપૂર ઢાકા, રાજેન્દ્રને આરોપી બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, કબીર પંથી રામપાલ દાસને દેશદ્રોહના એક મામલે હિસાર જેલમાં બંધ કરવામાં આવ્યા છે. વર્ષ 2014માં હિસાર ચંદીગઢ રોડ પર આવેલ સંતલોક આશ્રમને સરકારના આદેશ પછી ખાલી કરવામાં આવ્યો હતો અને તેના સંચાલક રામપાલ વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2006માં સ્વામી દયાનંદ પર લખેલા એક પુસ્તક પર સંત રામપાલે એક ટિપ્પણી કરી હતી. જે બાદ આર્યસમાજે તેનો વિરોધ કર્યો હતો. જેમાં આર્ય સમાજ અને રામપાલના સમર્થકોની વચ્ચે હિંસક ઝડપ થઇ હતી અને તેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. જે પછી પોલીસે રામપાલ પર હત્યાનો આરોપ લગાવી તેની ધરપકડ કરી હતી.