લાલૂ કોંગ્રેસને ઝટકો, પાસવાન ભાજપ સાથે કરશે ગઠબંધન
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે તો બીજી તરફ તોડજોડનું રાજકારણ ચાલૂ છે. જેનું આશ્વર્યજનક પરિણામ રવિવારે સામે આવ્યું, જ્યારે લોકજન શક્તિ પાર્ટીના પ્રમુખ રામ વિલાસ પાસવાને જાહેરાત કરી કે તેમની પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણી ભાજપ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
રામ વિલાસ પાસવાસના નિવેદનથી લાલૂ પ્રસાદ યાદવ અને કોંગ્રેસને આકરો ઝટકો લાગી શકે છે. રવિવારે રામ વિલાસ પાસવાનના ઘરે પાર્ટીએ એક મીટિંગ કરી ત્યારબાદ પાર્ટીના નેતા સૂરજભાન સિંહે મીડિયાને જાણકારી આપી કે લોજપા અને ભાજપ વચ્ચે ગઠબંધનને અંતિમરૂપ આપી દિધું છે પરંતુ લોજપાનું સંસદીય બોર્ડ આ વાતની ઔપચારિક જાહેરાત કરશે. એક સમયે ગુજરાત રમખાણોને લઇને ભાજપ અને નરેન્દ્ર મોદીની ટીકા કરનાર રામ વિલાસ પાસવાને નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટીની ખૂબ પ્રશંસા કરી હતી.
સૂરજભાન સિંહે કહ્યું હતું કે 'જ્યારે કોર્ટે નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ આપી દિધી છે તો આપણે કહેનાર કોણ છીએ. તેમણે કહ્યું હતું કે ગઠબંધન વિશે ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે જેમાં એ સ્પષ્ટ કરવામાં આવશે કે બિહારમાં પાર્ટી કેટલી પરથી ચૂંટણી લડશે.