કેમ ઈરાનની નીતિઓ પર ક્યારેય અમેરિકાનું ‘ગુલામ’ નહિ બને ભારત
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે સ્પષ્ટ કહ્યુ છે કે ભારત, ઈરાન પર લગાવેયેલા અમેરિકી પ્રતિબંધને માનતુ નથી પરંતુ તે યુનાઈટેડ નેશન્સ (યુએન) દ્વારા લગાવેલા પ્રતિબંધોને માને છે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે સ્પષ્ટ કહ્યુ છે કે ભારત, ઈરાન પર લગાવેયેલા અમેરિકી પ્રતિબંધને માનતુ નથી પરંતુ તે યુનાઈટેડ નેશન્સ (યુએન) દ્વારા લગાવેલા પ્રતિબંધોને માને છે. સુષ્માએ આ વાત તે સમયે કહી જ્યારે તેને ઈરાન અને વેનેઝુએલા પર લગાવાયેલા અમેરિકી પ્રતિબંધોને કારણે ભારતની તેલ આયાત પર થનાર અસર અંગે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. હાલમાં જ અમેરિકાએ ઈરાન સાથે વર્ષ 2015 માં થયેલ પરમાણુ સમજૂતીથી પોતાને હટાવી દીધુ છે. આ સમજૂતી હેઠળ ઈરાને દરેક પ્રકારના પરમાણુ કાર્યક્રમથી જોડાયેલી બધી સંવેદનશીલ ગતિવિધિઓને બંધ કરવાનું વચન આપ્યુ હતુ.
તેલનો ખેલ
સુષ્મા તરફથી આ નિવેદન આવ્યા બાદ તેમણે ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જાવેદ જારીફ સાથે મુલાકાત કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતની આ પ્રતિક્રિયા મોટો ઝટકો હોઈ શકે છે કારણકે ભારત, અમેરિકા માટે એક ખાસ ભાગીદાર છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ જ્યારે અમેરિકા, યુરોપિયન યુનિયન અને યુએને ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા તો ભારતે ઈરાન પાસેથી કાચા તેલની આયાત લગભગ અડધી કરી દીધી હતી. પરંતુ આજે પણ ભારત, ઈરાન માટે તેલનો સૌથી મોટો ખરીદાર બનેલો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતની 80 ટકા જરૂરિયાતો તેલથી પૂરી થાય છે. માર્ચ 2017 સુધી ભારતે ઈરાન પાસેથી 27.2 મિલિયન ટન તેલ ખરીદ્યુ હતુ અને આ સાથે તેલની ખરીદીમાં વર્ષ 2016 ની તુલનામાં 114 ટકાનો વધારો થયો હતો.
ચાબહાર પોર્ટ બંને વચ્ચે સૌથી મહત્વનું
ફેબ્રુઆરીમાં જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની ભારત આવ્યા અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ત્યારે ઉર્જાની જરૂરિયાતો ઉપરાંત ચાબહાર પર પણ વાત થઈ હતી. ચાબહાર પોર્ટ ભારત-ઈરાનની મજબૂત આર્થિક ભાગીદારીનું ઉદાહરણ છે. ચાબહાર પોર્ટ દ્વારા ભારત ઈરાન પાસેથી પ્રાકૃતિક ગેસની આયાત પણ કરશે. ચાબહારને પાકિસ્તાનમાં ચીનના પોર્ટ ગ્વાદરનો જવાબ માનવામાં આવે છે અને ઘણા રણનીતિકાર આને ભારત માટે ઘણુ મહત્વનું માને છે. તે માને છે કે ભારતને જો પશ્ચિમ એશિયામાં પોતાના હિતોની રક્ષા કરાવવી હોય તો આ ક્ષેત્રમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવવી પડશે અને ઈરાન તેનો એકમાત્ર રસ્તો છે. જો કે અમેરિકાને ચાબહાર પોર્ટ પર વાંધો છે. મે 2016 માં તો અમેરિકા સેનેટર્સે કહ્યુ હતુ કે આ ડીલ એક ખતરો સાબિત થઈ શકે છે. અમેરિકી વિદેશ વિભાગમાં સાઉથ અને સેન્ટ્રલ એશિયા મામલાના વિદેશ ઉપમંત્રી દેસાઈ વિશ્વાલે તે સમયે જણાવ્યુ કે અમેરિકી પ્રશાસન ભારતને ઈરાન પર લાગેલા પ્રતિબંધોની જાણકારી આપતુ રહ્યુ છે.
એક જેવા ઈરાન અને ભારત
રુહાનીએ પોતાના પ્રવાસ દરમિયાન ભારતને વર્તમાન સમયનું એક એવુ ઉદાહરણ ગણાવ્યુ કે જે શાંતિપૂર્ણ છે અને જ્યાં દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો રહે છે. રુહાનીએ આ દરમિયાન ધ્યાન દોર્યુ કે ભારત અને ઈરાન વચ્ચે ઘણા પ્રકારના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો છે જે રાજકીય અને આર્થિક સંબંધોથી ઘણા આગળ છે. આ બે મહાન દેશોના લોકો એક જેવો ઈતિહાસ ધરાવે છે. રુહાનીએ કહ્યુ કે ઈરાનને ભારત સાથે હજુ વધુ ગાઢ સંબંધો જોઈએ છે જેથી એકબીજાનો વિશ્વાસ જળવાઈ રહે. ભારત કદાચ આ જ વિશ્વાસને કારણે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને તોડવા નથી ઈચ્છતુ.
ગેસ પ્રોજેક્ટ બંને માટે જરૂરી
ભારત માટે હાલમાં ઈરાન-પાકિસ્તાન-ઈન્ડિયા ગેસ પાઈપલાઈન એટલે કે આઈપીઆઈ પ્રોજેક્ટ ઘણો મહત્વનો છે. આ ગેસ પ્રોજેક્ટથી અલગ તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત એટલે કે ટીએપીઆઈ (તાપી) પ્રોજેક્ટ પણ ભારત માટે એક મિલનો પત્થર સાબિત થવાનો છે. આ પ્રોજેક્ટ દ્વારા ભારતની 90 મિલિયન્સ મેટ્રીક ક્યુબિક મીટરની ગેસની જરૂરિયાત પૂરી થઈ શકશે અને બંને પ્રોજેક્ટમાં ઈરાન એક મોટી ભૂમિકા નિભાવે છે. અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિંટને પોતાના પુસ્તકમાં લખ્યુ હતુ કે મે 2012 માં તેમના ભારત પ્રવાસનો એક જ હેતુ હતો કે ભારતને એ વાત માટે રાજી કરવામાં આવે કે તે ઈરાન પર પોતાની તેલ નિર્ભરતાને કોઈ રીતે ઓછી કરી દે.
જાધવ મામલે ઈરાનની ભૂમિકા મહત્વની
પાકિસ્તાન સાથે ઈસ્લામિક ગઠબંધન હોવાની સાથે સાથે ઈરાને ભારતની સાથે પણ મજબૂત સંબંધો જાળવી રાખ્યા છે. ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામને કારણે લાગેલા વૈશ્વિક પ્રતિબંધોના સમયમાં પણ એકાદ અપવાદને છોડીને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ સારા રહ્યા. ઈરાનની ભૂમિકા કુલભૂષણ જાધવ મામલામાં પણ ઘણી મહત્વની છે. વર્ષ 2016માં જ્યારે જાધવને પાકિસ્તાને પકડ્યો હતો ત્યારે ઈરાને પાકને કહી દીધુ કે તેને આ મામલાથી જોડવાનું બંધ કરે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રુહાનીએ વર્ષ 2016 માં પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ રાહિલ શરીફ સાથે મુલાકાત કરી હતી અને જાધવનો મામલો ઉઠાવ્યો હતો. રુહાનીએ જાધવને જાસૂસ કહેવાના પાકિસ્તાનના દાવાને માત્ર એક અફવા ગણાવી હતી.
અફઘાનિસ્તાન માટે સાથે રહેવુ જરૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2016 માં પહેલી વાર ઈરાનની યાત્રા પર ગયા હતા અને ઈરાન સાથે ભારતે 12 સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીમાંથી એક હતી ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે એક હાઈવેનું નિર્માણ કરવું. ભારત અને ઈરાન વચ્ચે ટ્રાઈલેટરલ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાન્ઝીટ એગ્રીમેન્ટ સાઈન થયો છે. આ એગ્રીમેન્ટ દ્વારા એક જ હાઈવે આ ત્રણેય દેશોને એકબીજા સાથે જોડશે. આ હાઈવેને પાકિસ્તાન અને ચીનને ભારત, ઈરાન અને અફઘાનિસ્તાનના જવાબ રૂપે જોવામાં આવી રહ્યો છે.