ગણતંત્ર વિશેષ: 15 ગોળીઓ ખાઇને પણ કારગિલ પર લહેરાવ્યો ત્રિંરગો
ભારતને આઝાદી 1947માં મળી અને તેનું ગણતંત્ર 1950ને 26મી જાન્યુઆરીના રોજ તૈયાર થયું. કારગિલ યુદ્ધમાં અદ્ભુત વીરતા બતાવનાર યોગેન્દ્રસિંહ યાદવે શરીર પર 15 ગોળીઓ ખાવા છતાં પણ 'ટાઇગર હિલ્સ'પર ઝંડો ફરકાવ્યો.
ભારતને આઝાદી 1947માં મળી અને તેનું ગણતંત્ર 1950ને 26મી જાન્યુઆરીના રોજ તૈયાર થયું. પરંતુ એ માત્ર અંગ્રેજો સામે મળેલી આઝાદી હતી. એ પછી પણ ભારતે અનેક એવી એવી લડાઇનો સામનો કરવા પડ્યો જે આઝાદીની લડતમાં મળેલ જીત કરતાં પણ મોટી જીત બની ગઇ છે. આ જીત ભારતના એ વીર જવાનોના બલિદાનના કારણે મેળવી શકાઇ છે, જેમણે ભારત માતાને બચાવવા માટે પોતાના જીવની કુરબાની આપી દીધી. આજે અમે તમને એક એવા જ વીર જવાનની વાત કરીશું, જેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધમાં અદ્ભુત વીરતા બતાવી અને માં ભારતીની રક્ષા કરી. 18 ગ્રેનેડિયર્સમાં તૈનાત યોગેન્દ્રસિંહ યાદવે પોતાના શરીર પર 15 ગોળીઓ વાગવા છતાં પણ 'ટાઇગર હિલ્સ' પર ભારતનો ઝંડો લહેરાવ્યો. તેમની આ વીરતાને સેનાના સર્વોચ્ચ સન્માન 'પરમવીર ચક્ર'થી નવાજવામાં આવી હતી.
કારગિલ યુદ્ધની યાદ
પૂર્વ સેના અધ્યક્ષ જનરલ વી.કે. સિંહે યોગેન્દ્રસિંહ યાદવને ગણતંત્ર દિવસ પર યાદ કરતા જણાવ્યું હતું કે, ત્યારે ભારતમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. આપણે આપણા પડોશી દેશો સાથે સંબંધો સુધારી રહ્યા હતાં. પરંતુ તેઓ પોતાની નાપાક હરકતોથી બહાર જ નહોતા આવી રહ્યા. લોકો કહે છે કે, પાડોશી દેશો સાથે સંબંધો સારા રાખવા જોઇએ. સારા લોકો એને કહેવાય, જે સારા હોવાનો દેખાડો ન કરતા હોય. શિયાળાની ઠંડીમાં ભારત અને પાકિસ્તાન બંન્ને પોતાની સેનાને LOC પરથી પાછળ જ્યાં પ્રમાણમાં ઠંડી ઓછી હોય તે સ્થળ પર રાખે છે અને જેવી ઠંડી ઓછી થાય કે ફરી સેના પોતાના સ્થળે જતા રહે છે. પરંતુ પાકિસ્તાને એવું ન કરતા એ સમયે જ આપણી LOCની સૌથી ઊંચી પર્વતની ટેકરીઓ પણ કબજો જમાવ્યો. જેના કારણે ભારતની સેનાના જવાનો તેમના નિશાને આવી ગયા. જે ઊંચાઇ ભારતીય સેનાની તાકાત હતી, એ જ ઊંચાઇ તેમના માટે કાળ બની ગઈ.
યોગેન્દ્રસિંહને 'ટાઇગર હિલ્સ' પર કબજાની જવાબદારી
વી.કે સિંહે પોતાના ફેસબુક પેજ પર આગળ લખતા જણાવ્યુ હતું કે, 18 ગ્રેનેડિયર્સમાં તૈનાત યોગેન્દ્રસિંહ યાદવને 'ટાઇગર હિલ્સ' પર આવેલા દુશ્મનોના બંકર પર કબજો કરવાની જવાબદારી સોંપવામાં આવી. ટાઇગર હિલ્સની ઊંચાઇ ઘણી વધારે હતી. તેના પર સીધી ચડાઇ શક્ય નહોતી, કારણે કે ઉપર બેઠેલી પાકિસ્તાની સેના આરામથી જવાનોને મારી શકે તેમ હતી. આથી તેમણે એક એવા રસ્તાથી તેના પર ચડવાનું નક્કી કર્યું, જેની કલ્પના પણ પાકિસ્તાની સેના કરી ન શકે. 18000 ફૂંટ ઊંચાઇ પર આવેલા ટાઇગર હિલ્સના પહાડને સીધુ ચડવાનું, સાથે દારૂગોળાથી ભરેલી બેગ.. આ બધાની વચ્ચે કડકડતી ઠંડીમાં થાક્યા વિના ગમે તેમ કરીને ઉપર પહોચવું. આ કામ કરવાની તાકાત માત્ર ભારતીય સેનામાં જ છે.
પાક.ની અંધાધુન ગોળીથી અનેક સેનિકના મોત
યાદવસિંહે સ્વેચ્છાએ સૌથી આગળ જઈને પાછળની ટુકડીઓ માટે પહાડ ચડવા માટે દોરડાની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. તેમની આગેવાનીમાં કમાન્ડો ટુકડીએ 3 જુલાઇ 1999ની રાત્રે મિશનની શરૂઆત કરી. તેઓ મુખ્ય ચેક પોસ્ટની નજીક પહોંચી જ ગયા હતા, ત્યાં દુશ્મન દેશની સેનાએ તેમના પર ગોળીઓ અને મશીનગનથી હુમલો કરી નાખ્યો. આ હુમલામાં ભારતીય સેનાના મોટા ભાગના જવાનો શહીદ થયા. એ સમયે યાદવને પણ ત્રણ ગોળીઓ વાગી હતી. એ બાદ પણ તેમણે હિંમત ન હારી અને 60 ફુટની બાકી ચડાઇને પુરી કરી દુશ્મનના ત્રણેય બંકરોને નષ્ટ કરી નાખ્યા.
મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત
આ એકલા હાથની લડાઇમાં તેમને કુલ 15 ગોળીઓ વાગી હતી તથા તેમનો હાથ પણ તુટી ગયો હતો. અંતમાં વી.કે. સિંહ લખે છે કે, ભારત સરકાર દ્વારા તેમને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ અવિશ્વસનીય યુદ્ધમાં તેમને આટલી ઇજાઓ થવા છતાં પણ તેઓ જીવતા હતા અને તેમને સરકારે મૃત સમજી લીધા હતા. આથી ભારત સરકારે તેમને મરણોત્તર પુરસ્કાર આપ્યો હતો. આ વાતની જાણ યોગેન્દ્ર યાદવને એ સમયે થઈ જ્યારે તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતાં. 15 ગોળીઓ વાગવા બાદ પણ જીવીત રહેવા યોગેન્દ્ર સિંહ યાદવ ઉપરાંત આવા ભારતના અનેક બહાદુર સૈનિકોને સલામ...