"આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે કેટલાક રોહિંગ્યા મુસલમાનો"
રોહિંગ્યા મુસલમાનોના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે.
રોહિંગ્યા મુસલમાનોના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું છે. સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રોહિંગ્યા આંતરિક સુરક્ષા માટે જોખમરૂપ છે. કેન્દ્ર સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, રોહિંગ્યા મ્યાનમારની સીમા પરથી ગેરકાયદેસર રીતે ભારતમાં દાખલ થયા છે. લગભગ 40 હજારથી પણ વધુ રોહિંગ્યા શરણાર્થી ગેરકાયદેસર રીતે દેશમાં રહે છે. આ મામલે કેન્દ્ર સરકાર તરફથી 16 પાનાનું એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે, જેમાં સુરક્ષા સહિત અનેક મુદ્દાઓનો ઉલ્લેખ છે. આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, રોહિંગ્યા મુસલમાનોનો સંબધ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનો સાથે છે.
સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક રોહિંગ્યા મુસલમાન ગેરકાયદેસર અને દેશવિરોધી કામોમાં સંડોવાયેલા છે, જેમ કે ફંડની આપ-લે, માનવ તસ્કરી વગેરે. એફિડેવિટમાં સરકારે એ પણ જણાવ્યું છે કે, સુરક્ષા એજન્સિ તરફથી પણ કેટલાક રોહિંગ્યા મુસલમાનો પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાની જાણકારી આપવામાં આવી હતી. દેશમાં રોહિંગ્યા મુસલમાનોના ગેરકાયદેસર સ્થળાંતરને કારણે સ્થિતિ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે. ગૃહ મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, રોહિંગ્યા દેશની સુરક્ષા માટે મોટું જોખમ સાબિત થઇ શકે છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહે આ અંગે કહ્યું કે, જે પણ નિર્ણય લેવાશે, એ સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાશે. મારા મતે આપણે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઇએ. આ મામલે હવે પછીની સુનવણી સુપ્રીમ કોર્ટમાં 3 ઓક્ટોબરના રોજ બપોરે 2 વાગે થશે.