ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત આખુ કાશ્મીર આપણુ: ભાગવત
નાગપુરમાં વિજયાદશમી રેલીમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું કે દેશ ધીરે-ધીરે આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે અમુક એવી શક્તિઓ છે જે ભારતના પ્રભાવને આગળ વધતો જોવા માંગતી નથી. કાશ્મીરનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે મીરપુર, મુઝફ્ફરાબાદ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત આખુ કાશ્મીર આપણુ છે.
ભાગવતે કહ્યું કે કાશ્મીરની ઉપદ્રવકારી શક્તિઓને ઉકસાવવાનું કામ સીમા પારથી થાય છે, એ વાત કોઇનાથી છૂપી નથી. આખી દુનિયા આ વાત જાણે છે. ભાગવતે કહ્યું કે સીમાપારથી આવી હરકતો કરનારાને આપણા શાસકોએ સરસ જવાબ પણ આપ્યો છે. શાસકોના નેતૃત્વમાં આપણી સેનાએ સાહસ બતાવ્યું છે. તેમણે કહ્યું કે ફરી એક વાર આખી દુનિયામાં ભારતની સેનાની પ્રતિષ્ઠા વધી ગઇ છે. આ સાથે જ ઉપદ્રવીઓને સંકેત મળી ગયો છે કે સહન કરવાની પણ મર્યાદા હોય છે.
ભાગવતે કહ્યું કે જાતિ, ધર્મ અને ભાષાના ભેદભાવોને લઇને બનેલી અમુક ઘટનાઓ આપણા સમાજ માટે શરમજનક છે. અમુક લોકો આ ઘટનાઓનો ઉપયોગ સમાજને વિભાજીત કરવા માટે કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા નરેન્દ્ર મોદીએ ગૌ રક્ષકો પર કરેલી ટિપ્પણીનો પરોક્ષ રુપે ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ગાય માતા છે અને તેમની સેવા કરતા ગૌ રક્ષકો બધા ભલા લોકો છે જે કાયદો અને વ્યવસ્થાની હદમાં રહીને કામ કરે છે. ભાગવતે કહ્યું કે પ્રશાસને ધ્યાન રાખવુ જોઇએ કે જે લોકો કાયદો અને વ્યવસ્થાનું પાલન નથી કરતા તેમની સાથે ગૌ રક્ષકોની તુલના ન થવી જોઇએ.