રાષ્ટ્રપતિ ચૂંટણીઃ કેન્દ્રને સમર્થન આપવા તૈયાર મુલાયમ, પરંતુ...
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હજુ પણ RSS પ્રમુખનું નામ રેસમાં છે, મુલાયમે ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની વાત કરી છે, પરંતુ આ માટે તેમણે એક શરત મુકી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો નજીક આવતાની સાથે જ ઉમેદવારોના નામ અંગે ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સત્તાધારી દળ ભાજપનું એનડીએ ગઠબંધન ખૂબ મજબૂત સ્થિતિમાં છે. જો કે, હવે ઉમેદવારની નોંધણીની પ્રક્રિયામાં આરએસએસ દ્વારા પણ ભાગીદારી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવારના નામની જાહેરાત પહેલાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પછીના સૌથી મહત્વપૂર્ણ નેતા ભૈયાજી જોશીનું આરોગ્ય સારું ન હોવાને કારણે દત્તાત્રેય હોસબોલે અને કૃષ્ણ ગોપાલ આ પ્રક્રિયામાં ભાગ લઇ રહ્યાં છે.
મોહન ભાગવત પણ રાષ્ટ્રપતિની રેસમાં
સૂત્રો અનુસાર, રાષ્ટ્રપતિની રેસમાંથી આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું નામ હજુ પણ બહાર નથી થયું. શુક્રવારે મોહન ભાગવત દિલ્હીમાં હતા અને તેમણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી હતી, આ પહેલાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ નાગપુરમાં મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. હવે મોહન ભાગવત તો દિલ્હીથી રવાના થઇ ગયા છે, પરંતુ કૃષ્ણ ગોપાલ હજુ પણ દિલ્હીમાં જ છે. કહેવાઇ રહ્યું છે કે, તેઓ ભાજપના મુખ્ય નેતાઓ રાજનાથ સિંહ, વેંકૈયા નાયડુ, અરુણ જેટલી સાથે મુલાકાત કરનાર છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સમિતિનું ગઠન
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિના ઉમેદવારના નામની પસંદગી માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક સમિતિની રચના કરી છે, જેમાં અરુણ જેટલી, રાજનાથ સિંહ અને વેંકૈયા નાયડુનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓ તમામ પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી આ મામલે ચર્ચા કરી રહ્યાં છે. આ ત્રણ નેતાઓ સિવાય સુષ્મા સ્વરાજ અને નિતિન ગડકરીને પણ સૂચના આપવામાં આવી છે કે, તેઓ પોતાની અનુકૂળતાએ આ પ્રક્રિયામાં સહયોગ કરે.
અંતિમ નિર્ણય લેશે પીએમ મોદી
જો કે, આરએસએસ દ્વારા આવી તમામ અફવાઓનું ખંડન કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, પાર્ટીના તમામ સભ્યોની સૂચના બાદ જે નામ નક્કી થશે, એને સૌનું સમર્થન મળશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મુરલી મનોહર જોશી, સુષ્મા સ્વરાજ, સુમિત્રા મહાજન સહિત વેંકૈયા નાયડુનું નામ પણ ચર્ચામાં છે. જો કે, કહેવાઇ રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ આ અંગે અંતિમ નિર્ણય લેશે.
મુલાયમે મુકી શરત
એક તરફ અનુમાન લગાવાઇ રહ્યું છે કે, ભાજપ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના નામ પર પસંદગી ઉતારી શકે છે. જો કે, પૂર્વ સપાના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે મોટું નિવેદન આપતાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેઓ પોતાનો મત એનડીએ સરકારને આપી શકે છે, પરંતુ આ માટે તેમણે ભાજપ સામે એક શરત મુકી છે. તેમની શરત છે કે, જો ભાજપ એવા કોઇ ઉમેદવારનું નામ પસંદ કરે, જે કટ્ટર હિંદુવાદી ચહેરો ના હોય, તો જ તેઓ પોતાનો મત એ ઉમેદવારને આપશે.
મુલાયમ સિંહ યાદવની ચિંતાઓ
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહ અને વેંકૈયા નાયડુએ શુક્રવારે મુલાયમ સિંહ સાથે મુલાકાત કરી હતી. કહેવાઇ રહ્યું છે કે, આ બંન્ને નેતાઓ આ મુદ્દે તમામ પક્ષના નેતાઓને સંમત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે અને સફળ પણ થઇ રહ્યાં છે. સૂત્રો અનુસાર, આ મુલાકાતમાં મુલાયમે અખિલેશના કામકાજ અંગે તથા કોંગ્રેસ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.