Ryan School Murder: "આ પોલીસ અને શાળાની મીલીભગત છે"
આરોપીની ધરપકડ બાદ પણ રિયાન સ્કૂલની બાહર પ્રદર્શન, માતા-પિતા અને પત્રકારો પર પોલીસનો લાઠીચાર્જ, આ મામલે પોલીસ-સ્કૂલની મીલીભગત હોવાની પરિવારજનોની શંકા
ગુરૂગ્રામના રિયાન સ્કૂલમાં 7 વર્ષના પ્રદ્યુમ્નની હત્યા બાદ આ શાળા પર વાલીઓનો રોષ ભડકી ઉઠ્યો હતો. રવિવારે શાળાની બહાર પ્રદર્શન કરી રહેલાં માતા-પિતા પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, આ દરમિયાન ત્યાં હાજર મીડિયાકર્મીઓ પણ પોલીસના નિશાને આવી ગયા હતા. એક સમાચાર પત્રના પત્રકારના હાથ પર પોલીસના લાકડી એટલી જોરમાં વાગી હતી કે, તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. પોલીસ કર્મચારીઓએ મીડિયાના કેમેરા પર પણ પ્રહારો કર્યા હતા. પોલીસ દ્વારા મીડિયા કર્મચારીઓ પર કરવામાં આવેલ હુમલાની નેતાઓએ નિંદા કરી છે.
શાળાની બહાર તોડફોડ
આ પહેલાં શાળાની બહાર પ્રદર્શનકર્તાઓએ શાળાથી થોડે દૂર આવેલ દારૂની દુકાનમાં આગ ચાંપી દીધી હતી. પ્રદર્શનકર્તાઓએ કહ્યું હતું કે, રિયાન સ્કૂલની બહારના સિક્યોરિટી ગાર્ડ ઘણીવાર દારૂ પીને આવે છે અને આરોપી બસ કંડક્ટર પણ અહીં આવી નશો કરતો હતો. આ બધા વચ્ચે મૃત પ્રદ્યુમ્નના પિતાએ લોકોને શાંતિની અપીલ કરી હતી. સાથે જ તેમણે આ કેસમાં સીબીઆઇની તપાસની માંગ કરી હતી, જેથી આ કેસની લગતી તમામ વિગતો સામે આવે.
પ્રદ્યુમ્નના પરિવારજનોની શંકા
ઉલ્લેખનીય છે કે, રિયાન સ્કૂલના બીજા ધોરણના સાત વર્ષીય વિદ્યાર્થી પ્રદ્યુમ્નની હત્યાના મામલે પોલીસે બસ કંડક્ટરની ધરપકડ કરી છે, બસ કંડક્ટરે પોતાનો ગુનો પણ કબૂલ્યો છે. શાળાના પ્રિન્સિપલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ છતાં, પ્રદ્યુમ્નના પરિવારજનો સંતુષ્ટ નથી. તેમનું કહેવું છે કે, આ પોલીસ અને સ્કૂલ મેનેજમેન્ટની મીલી-ભગત છે. પ્રદ્યુમ્નએ ચોક્કસ શાળામાં કોઇ ખોટી કાર્યવાહી જોઇ લીધી હશે, જેને કારણે તેની હત્યા કરવામાં આવી છે. પ્રદ્યુમ્નના પરિવારજનોએ આ મામલે ગંભીરતાથી તપાસ કરવાની માંગણી કરી છે.
|
આરોપી અશોક કુમારના પરિવારનું નિવેદન
આ મામલે આરોપી બસ કંડક્ટર અશોક કુમારના પરિવારજનોના નિવેદનને કારણે પણ અલગ વળાંક આવવાની શક્યતા છે. અશોક કુમારની ધરપકડ બાદ ગામવાળાઓએ તેના પરિવારનો બહિષ્કાર કર્યો હતો. આ મામલે અશોકના પિતાનું કહેવું છે કે, અશોક નિર્દોષ છે અને શાળાવાળાઓએ તેને આ મામલામાં ફસાવ્યો છે. અશોક કુમારની બહેને પણ કહ્યું હતું કે, મારા ભાઇની મારપીટ કરી તેને ખોટું નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું છે. શાળાના પ્રિન્સિપાલે જ પોલીસને લાંચ આપી છે.
શું છે આખો મામલો?
શુક્રવારની સવારે ગુરૂગ્રામ સ્થિત રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બીજા ધોરણના વિદ્યાર્થી પ્રદ્યુમ્નનું શબ મળી આવ્યું હતું. શુક્રવારે મોડી રાત્રે આ મામલે અશોક કુમારની ધરપકડ કરવામાં આવી હતી. અશોકે સ્વીકાર્યું હતું કે, તેણે જ પ્રદ્યુમ્નની હત્યા કરી છે. અશોક બાથરૂમમાં પોતાનું ચપ્પુ સાફ કરવા ગયો હતો, ત્યાં તેણે પ્રદ્યુમ્નને જોતાં તેનું યૌન શોષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રદ્યુમ્નએ વિરોધમાં બૂમો પાડતાં તેણે ચપ્પુ વડે તેના ગળા પર ઘા મારી તેની હત્યા કરી હતી.