સમ્મેદ શિખર તીર્થ સ્થળ જ રહેશે, કેન્દ્ર સરકારે પ્રવાસન સ્થળનો દરજ્જો પાછો ખેંચ્યો
ઝારખંડમાં સ્થિત જૈન ધર્મના મુખ્ય તીર્થસ્થળ સમ્મેદ શિખરને અતિક્રમણ મુક્ત કરવા અને શાકાહારી ક્ષેત્ર જાહેર કરવાની માંગ સાથે ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા.
નવી દિલ્હી : ઝારખંડના સમ્મેદ શિખરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતા સમાચારો અનુસાર જૈન સમાજના આંદોલનની જીત થઈ છે અને કેન્દ્ર સરકારે હવે સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળોની યાદીમાંથી હટાવીને યાત્રા ધામ જ રાખવાની જાહેરાત કરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી આ મુદ્દે રાજનીતિ પણ ચાલી રહી હતી ત્યારે હવે મધ્યપ્રદેશના મંત્રી ઓપી સકલેચાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પહેલાથી જ વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે હવે સમ્મેદ શિખર તીર્થસ્થળ જ રહેશે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે તીર્થ ક્ષેત્રમાં કોઈ બાંધકામનું કામ થશે નહીં અને સ્થળની પવિત્રતા જાળવવા માટે હોટલ, ટ્રેકિંગ અને નોન-વેજ પર પ્રતિબંધ રહેશે.
અહીં તેમણે જણાવ્યુ કે, સમ્મેદ શિખર એ માત્ર જૈન સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પવિત્ર સ્થળ છે. નક્કી કરવામાં આવ્યું છે કે એક બોર્ડ બનાવાશે, જેમાં બે લોકો જૈન સમાજના, સ્થાનિક પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ હશે. જે પણ નિર્ણય લેવાનો હશે તે બોર્ડ કરશે. તેમણે કહ્યું કે આ સ્થળ યાત્રાધામ જ રહેશે, પ્રવાસન સ્થળનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
આ મુદ્દે સતત વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ઓપી સકલેચાએ આગળ જણાવ્યુ કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહે પહેલા જ જાહેરાત કરી હતી કે સરકાર જૈન સમુદાયની સાથે છે અને તેમણે આ અંગે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત પણ કરી હતી. ઝારખંડ સરકારે જે કર્યું તે કર્યું, પરંતુ તેનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
અહીં તમને જણાવી દઇએ કે, ઝારખંડમાં સ્થિત જૈન ધર્મના મુખ્ય તીર્થસ્થળ સમ્મેદ શિખરને અતિક્રમણ મુક્ત કરવા અને શાકાહારી ક્ષેત્ર જાહેર કરવાની માંગ સાથે ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લાના મધુબનમાં સ્થિત પારસનાથ પર્વત શિખર જૈન ધર્મના 24માંથી 20 તીર્થંકરોનું તપસ્થાન છે.












Click it and Unblock the Notifications
