સારદા કૌભાંડ : CBIએ ટીએમસીના પ્રધાન મદન મિત્રાની ધરપકડ કરી
કોલકત્તા, 12 ડિસેમ્બર : સારદા ચિટ ફંડનું કૌભાંડ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર માટે મોટી મુશ્કેલી બનતું જાય છે. ટીએમસીના સાંસદો અને પ્રધાનોની એક પછી એક ધરપકડ કરવામાં આવી રહી છે. આ બાબત ટીએમસીના સુપ્રીમો મમતા બેનરજી માટે ચિંતાનું કારણ છે. આજે પણ ટીએમસીના પરિવહન પ્રધાન મદન મિત્રાની સીબીઆઇએ ધરપકડ કરી છે.
પશ્ચિમ બંગાળના પરિવહન રાજ્યમંત્રી મદન મિત્રાની સારદા ચિટ ફંડ કૌભાંડમાં સીબીઆઇએ ધરપકડ કરી છે. મદન મિત્રાને મમતા બેનરજીના અત્યંત નજીકના નેતા માનવામાં આવે છે. આ પહેલા પણ ટીએમસીના બે સાંસદો કૃણાલ ઘોષ અને શ્રૃંજાલ બોસ પેહેલા જ જેલની હવા ખાઇ રહ્યા છે.
આ પહેલા ભાજપના અધ્યક્ષે સારદા સહિત બર્દમાન બ્લાસ્ટમાં મમતા બેનરજી પર નિશાન સાધતા કહ્યું હતું કે આ બંને કેસમાં ટીએમસીનો હાથ છે.
સીબીઆઇ મદન મિત્રાની પહેલા જ પૂછપરછ કરવાની હતી.પરંતુ તેમની તબિયત અચાનક ખરાબ થઇ જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બીજી તરફ મદન મિત્રાનું કહેવું છે કે તેમનો સારદા ચિટ ફંડ સાથે કોઇ સંબંધ નથી. તેઓ આ બાબતમાં નિર્દોષ છે.
મદન મિત્રાનું કહેવું છે કે 'મેં સારદા ગ્રુપમાંથી એક પણ પૈસો લીધો નથી. હું માત્ર તેમના કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. પણ મને આ ગ્રુપના ઇતિહાસ વિશે કોઇ માહિતી ન હતી. આ માટે તેમણે પોતાની ભૂલનો સ્વીકાર પણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કોલકત્તાની ચિટ ફંડ કંપની પર નકલી કંપની બનાવીને 10,000 લોકોનું રજિસ્ટ્રેશન કરાવીને પૈસા લઇ લેવાનો આરોપ છે. આ મારફતે દર વર્ષે રૂપિયા 30,000 કરોડની કમાણી કરવામાં આવી હતી. સારદા કંપની પર આરોપ છે કે તેણે ગરીબ લોકોની મહેનતની કમાણી છીનવી છે. આ સંદર્ભમાં કંપનીના માલિક સુદીપ્ત સેનની પહેલા જ ધરપકડ થઇ ચૂકી છે.