સરદાર વલ્લ્ભભાઇ પટેલના જન્મદિને જાણો તેમના વિશે ખાસ વાતો
સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875 ના દિવસે નડિયાદ (ગુજરાત) ના લેઉવા પાટીદારના ખેડૂત પરિવારમાં થયો હતો...
સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875 ના દિવસે નડિયાદ (ગુજરાત) ના લેઉવા પાટીદારના ખેડૂત પરિવારમાં થયો હતો. દેશને એક સૂત્રમાં બાંધનારા સરદાર વલ્લભભાઇ પટેલને પીએમ મોદીએ પણ 'મન કી બાત' માં યાદ કરતા કહ્યું કે તેમના બતાવેલા રસ્તા અને સિદ્ધાંતોએ દરેક જણે માનવા જોઇએ.
આવો જાણીએ તેમના વિશે ખાસ વાતો...
સરદાર વલ્લભભાઇ પટેલ દેશના પહેલા ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી બન્યા. બારડોલી સત્યાગ્રહ કરનારા વલ્લભભાઇને સત્યાગ્રહ સફળ થતા ત્યાંની મહિલાઓએ સરદારની ઉપાધિ આપી હતી. જો પટેલ ના હોત તો કદાચ દેશ એક ના થયો હોત. આઝાદી પછી જુદા જુદા રજવાડામાં વિખરાયેલા ભારતના ભૂ-રાજનીતિક એકીકરણમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવવા માટે સરદાર પટેલને ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ કહેવામાં આવે છે. ઝવેરભાઇ પટેલ અને લાડબા દેવીની ચોથી સંતાન વલ્લભે લંડન જઇને બેરિસ્ટરનો અભ્યાસ કર્યો હતો. બારડોલીમાં સશક્ત સત્યાગ્રહ કરવા માટે તેમને પહેલા બારડોલીના સરદાર અને બાદમાં સરદાર કહેવામાં આવ્યા. ભારતના એકીકરણમાં તેમના મહાન યોગદાન માટે તેમને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવતા હતા.
ખેડા સંઘર્ષમાં મોટુ યોગદાન
સ્વતંત્રતા અંદોલનમાં સરદાર પટેલનું સૌથી પહેલુ અને મોટુ યોગદાન ખેડા સંઘર્ષમાં થયુ. ગુજરાતના ખેડામાં તે દિવસોમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ હતી. ખેડૂતોએ અંગ્રેજ સરકાર પાસેથી ભારે કરમાંથી છૂટ માંગી હતી. જ્યારે આનો સ્વીકાર ના થયો ત્યારે સરદાર પટેલ, ગાંધીજી અને અન્ય લોકોએ ખેડૂતોનું નેતૃત્વ કર્યુ અને તેમને કર ન ભરવા માટે પ્રેરિત કર્યા. છેવટે સરકાર ઝૂકી અને તે વર્ષે કરમાં રાહત આપવામાં આવી.