શશિકલાએ જયલલિતાના છેલ્લા શબ્દો અંગે કર્યો ખુલાસો
શશિકલાએ કહ્યું, હું અમ્માની તસવીર સામે શપથ લેવા જઇ રહી છું કે અમે સચિવાલય પર કબજો કરીશું.
તમિલનાડુ નું રાજકારણીય યુદ્ધ દિવસેને દિવસે વધુ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. એઆઇએડીએમકે ના મહાસચિવ શશિકલા એ પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા ના છેલ્લા શબ્દો ઉજાગર કર્યા હતા. શશિકલાએ મહાબલીપુરમ સ્થિત ગોલ્ડન બે રિઝોર્ટમાં ધારાસભ્યો પાસે કસમ લેવડાવી હતી કે, સત્તા મેળવવામાં તેઓ તેમની મદદ કરશે. ધારાસભ્યોને સંબોધિત કરતાં શશિકલાએ કહ્યું કે, અમ્માએ મને કહ્યું હતું કે, અમારી પાર્ટીને કોઇ બરબાદ નહીં કરી શકે. તેમણે કહ્યું કે, આ પાર્ટીને બચાવવા માટે તેઓ પોતાનો જીવ પણ આપી શકે છે.
'પાર્ટી અમારી સંપત્તિ'
શશિકલાએ કહ્યું કે, હું અમ્માની તસવીર સામે શપથ લેવા જઇ રહી છું કે અમે સચિવાલય પર કબજો કરીશું. બધાએ મારી સાથે આ કસમ લેવી જોઇએ. થોડી વાર બાદ શશિકલાએ ફરી પોતાનું નિવેદન બદલતાં કહ્યું કે, સૌએ મરીના બીચ સ્થિત પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મેમોરિયલ પર જઇ શપથ લેવી જોઇએ અને પછી સચિવાલય પર કબજો કરવો જોઇએ. અમ્મા આ પાર્ટીને અમારી સંપત્તિ તરીકે છોડી ગયાં છે, આપણે એ ફરીથી મેળવવાની છે.
વિધાયકોને કહ્યું- તમે વધારે ભણેલા ગણેલા નથી
એઆઇએડીએમકે ના ધારાસભ્યોની શિક્ષા પર સવાલ કરતાં શશિકલાએ કહ્યું કે, તમે લોકો વધુ ભણેલા-ગણેલા નથી, પરંતુ અમ્મા ભણેલા હતા. એમણે તમને ટ્રેનિંગ આપી કે જેથી તમે એક દિવસ ધારાસભ્ય બનવાનું સપનું જોઇ શકો. અમ્માએ તમારા માટે શું કર્યું છે, તમને કઇ રીતે ઉપર આવવામાં મદદ કરી છે એ ક્યારેય ભૂલશો નહીં. અમ્માએ તમને આગળ વધવામાં મદદ કરી છે. શશિકલાએ પોતાના આંસુ લૂછતાં આગળ કહ્યું કે, હવે જ્યારે હું અમ્મા વિશે વિચારું છું ત્યારે પણ રડું છું. હું એ જવાબદારી વિશે વિચારું છું જે એમણે તમને લોકોને અને મને આપી છે.
અહીં વાંચો - કોણ છે શશિકલા નટરાજન? જેને મળી છે જયલલિતાની ગાદી
પાર્ટીને બચાવવામાં મારું જીવન વિતાવીશ
'હું તમારા સૌ સામે કસમ ખાઉં છું કે, આ પાર્ટી, આ સરકાર, કોઇ મને હલાવી નહીં શકે. હું મારી જિંદગી પાર્ટીને બનાવવામાં લગાવી દઇશ. આપણે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ. કેટલાક લોકો બધું બગાડવા માટે જ પાર્ટીની પાછળ લાગેલા છે.'