પોલીસ સુધારણા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર - રાજ્યોને નોટીસ પાઠવી
જસ્ટિસ જી એસ સંઘવીની અધ્યક્ષતાવાળી એક બેંચે પંજાબ અને બિહારની સરકારની ઝાટકણી કાઢતા સામાન્ય લોકો પર પોલીસ અત્યાચાર બદલ સાત દિવસમાં તેમનો જવાબ એફિડેવિટ કરાવવા આદેશ આપ્યો છે.
બેંચે જણાવ્યુું છે કે "ભારત સરકારના ગૃહ સચિવ દ્વારા તમામ રાજ્ય સરકારો, યુનિયન ટેરેટરી, ચીફ સેક્રેટરી, ગૃહ સચિવો અને તમામ રાજ્યોના ડીજીપી, પોલીસ કમિશનર્સને પ્રકાશ સિંહના કેસમાં જે પોલીસ સુધારણા માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા તેનું અમલીકરણ કરવા માટેની સૂચના આપવામાં આવે."
આ બંને કિસ્સાઓ અંગે મીડિયામાં પ્રકાશિત અહેવાલોને ધ્યાનમાં લઇને આ કેસમાં કોર્ટે સુઓ મોટો કરીને તેમાં પગલાં લેવાની પહેલ કરી હતી. પંજાબના ટેમતારણ જિલ્લામાં એક યુવતી પોતાના પિતા સાથે ટ્રકડ્રાઇવર દ્વારા થતી હેરાનગતિની ફરિયાદ લખાવવા પોલીસ પાસે ગઇ ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેની છેડતી કરવામાં આવી હતી.
બીજી તરફ પાંચ માર્ચના રોજ પટનામાં કોન્ટ્રાક્ટ પરના શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે કરેલા લાઠી ચાર્જ અને અસ્રુ ગેસના સેલ છોડવા સામે પણ વિરોધ ઉઠ્યો હતો.