7 રોહિંગ્યાને મ્યાનમાર મોકલશે ભારત, SCએ દખલગીરી કરવાની ના પાડી દીધી
7 રોહિંગ્યાને મ્યાનમાર મોકલશે ભારત, SCએ દખલગીરી કરવાની ના પાડી દીધી
નવી દિલ્હીઃ આસામમાં ગેરકાયદેસર રીતે રહેતા સાત રોહિંગ્યા પ્રવાસીઓને પરત મ્યાનમાર મોકલવાનો સરકારે નિર્ણય કર્યો છે. પહેલી વખત આવું બની રહ્યું છે જ્યારે ભારમતાંથી રોહિંગ્યાને પરત મ્યાનમાર મોકલવામાં આવી રહ્યા હોય. જેને લઈને સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ વાંધો ઉઠાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂતે કહ્યું કે ભારત આવું કરશે તો તે આંતરરાષ્ટ્રીય કાયદાની અવગણના કર્યા બરાબર હશે.
2012માં ધરપકડ થઈ હતી
ઉલ્લેખનીય છે કે વિદેશી કાયદાના ઉલ્લંઘનના આરોપમાં 29 જુલાઈ 2012ના રોજ સાત રોહિંગ્યા પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. કાચાર જિલ્લાના અધિકારીઓએ જણાવ્યા મુજબ મોહમ્મદ જમાલ, મોહબુલ ખાન, જમાલ હુસૈન, મોહમ્મદ યુનૂસ, સબીર અહેમદ, રહીમ ઉદ્દીન અને મોહમ્મદ સલામને મ્યાનમાર પરત મોકલવામાં આવી રહ્યા છે. તેમની ઉંમર 26થી 32 વર્ષની જણાવવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં થઈ અરજી
બીજી બાજુ ગેરકાયદેસર રીતે રહેતા 7 રોહિંગ્યા પ્રવાસીઓને પરત મોકલવાના ભારત સરકારના નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે. યુનાઈટેડ નેશન્સ તરફથી પણ આ મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. બીજી બાજુ સરકારના આ નિર્ણયની વિરુદ્ધમાં બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થઈ હતી. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે ગુરુવારે મણિપુરની મોરેહ સીમા ચોકી પર સાત રોહિંગ્યા પ્રવાસીઓને મ્યાનમારના અધિકારીઓને સોંપી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
બુધવારે કરેલી અરજીમાં તાત્કાલિક સુનાવણી કરવાની માગણી કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુનાવણી કરી રહેલી બેંચે વકીલ પ્રશાંત ભૂષણની અરજીને રદ કરી દીધી છે. સુનાવણી દરમિયાન સરકારે કોર્ટને જણાવ્યું કે વિદેશ મંત્રાલય દ્વારા તમામ સાત નાગરિકોને મ્યાનમારના હોવાની પુષ્ટિ કરી શકાય છે. જ્યારે સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું કે મ્યાનમાર દ્વારા આ લોકો પોતાના નાગરિકો હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. આ સાતેય રોહિંગ્યા પ્રવાસીઓ આસામના સિલચર સ્થિત જેલમાં કેદ હતા જ્યાંથી આજે તેમને મ્યાનમાર મોકલવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે.
રોહિંગ્યાને લઈ ભારતમાં રાજકારણ તેજ
માનવાધિકાર સમૂહ એમનેસ્ટી ઈન્ટરનેશનલે રોહિંગ્યાઓની દુર્દશા માટે મ્યાનમાર સરકારને દોષિત ઠેરવી છે. ભારત સરકારે પાછલા વર્ષે સંસદને જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજેન્સી UNHCRમાં નોંધણી કરાવેલ હજારે રોહિંગ્યા ભારતમાં રહે છે. કેટલીક એજન્સિઓના હવાલે જણાવવામાં આવ્યું હતું કે દેશમાં રહેતા રોહિંગ્યાની સંખ્યા લગભગ 40,000 છે. જ્યારે તેને લઈને રાજનીતિ પણ તેજ થતી દેખાઈ રહી છે.
આ પણ વાંચો-આજે ભારત આવશે રશિયાના પ્રેસિડન્ટ, 20 મહત્વની ડીલ પર થશે હસ્તાક્ષર