આસામમાં સાંપ્રદાયિક હિંસા, 32ના મોત, કરફ્યુ જાહેર
ગુવાહાટી, 3 મે : આસામમાં છેલ્લા 24 કલાક દરમિયાન આસામની હિંસામાં મરનારાઓની સંખ્યા વધી ગઇ છે. આજે અન્ય 9 લાશો મળી આવતા હવે મૃત્યુઆંક 32 સુધી પહોંચી ગયો છે. હિંસાની સ્થિતિ નિયંત્રણમાં રહે અને સુરક્ષા જળવાઇ રહે તે હેતુથી પોલીસે કરફ્યુ જાહેર કર્યો છે.
આસામમાં કોકરાઝાર પાસેના બે ગામમાં ગઇ કાલે હુમલા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ દિવસ દરમિયાન ઉગ્રવાદીઓએ કેટલાક ઘરોમાં આગ લગાવી દીધી હતી. જેના કારણે મૃત્યુઆંક વધ્યો છે. સેના અને પોલીસના જવાનોએ સતત તપાસ શરૂ કરી છે. આ મુદ્દે વિપક્ષે આસામના મુખ્યમંત્રી તરૂણ ગોગોઇનું રાજીનામુ માંગવાનું શરૂ કરી દીધું છે.
ઉગ્રવાદી સંગઠન નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના સંગબિજીત જૂથે કોકરાઝાર, ચિરાંગ અને બક્સા જિલ્લામાં મહિલાઓ અને બાળકોને પણ બંદૂકની ગોળીઓના નિશાન બનાવ્યા હતા. આ ઘટનામાં 13 લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા છે. સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ ઉભી થતા કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી તરૂણ ગોગોઇએ એનડીએપબીના સંગબિજીત જુથનો હાથ ગણાવ્યો છે. તેમણે પોતાની જર્મની યાત્રા રદ કરી છે. મોદી રાત્રે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આ હુમલાઓની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું કે દેશને તોડનારી તાકતો ક્યારેય સફળ નહીં થાય.રાજ્યના પોલીસ મહાનિર્દેશક ખગેન શર્માએ જણાવ્યું કે ઉગ્રવાદી સંગઠનો વિરુદ્ધ અભિયાન ઉગ્ર બનાવી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે પોલીસના જણાવ્યા અનુસાર એકે47 રાઇફલ્સ સાથે 20થી 25 માણસોના ટોળાએ મોડી રાત્રો હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલામાં માર્યા ગયેલા 12 જણોમાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે.
ભારે હથિયારો સાથે આવેલા આતંકવાદીઓએ બાલાપરાજન ગામમાં બે ઘરને નિશાન બનાવ્યા હતા. આ ગામ ગોરેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. રાતે અંદાજે એક વાગ્યાની આસપાસ આ હુમલો કરાયો હતો. જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
ઘટના બાદ સ્થાનિક પોલીસ અને મિલ્ટ્રીના જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે, સમગ્ર વિસ્તારમાં આ આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ગત મોડી રાતે બસ્કા વિસ્તારમાં પણ આતંકવાદીઓએ ત્રણ લોકો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં બે મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થયા છે.
આ ઘટનાની ટીકા ઓલ માઇનોરિટી સ્ટુડેન્ટ્સ યુનિયન (આમસૂ) અને એબીએસએસયુ દ્વારા પણ કરવામાં આવી છે. તેમણે સૌને શાંતિ જાળવવાની અપીલ કરી છે.