સીમાંધ્ર માટે નવું પાટનગર વિકસાવવાનો ખર્ચ 2.5 લાખ કરોડ!
હૈદરાબાદ, 2 ઓગસ્ટ : આંધ્રપ્રદેશના વિભાજન બાદ નવા રચવામાં આવનારા બે રાજ્યો તેલંગાણા અને સીમાંધ્ર પૈકી સીમાંધ્ર માટે નવા પાટનગર શહેરની રચનાનું કામ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ નવા પાટનગરની માળખાકીય સવલતો વિકસાવવાનો ખર્ચ રૂપિયા 2.5 લાખ કરોડને આંબી જશે એવો અંદાજ છે.
સૂત્રોનું કહેવું છે કે નવું પાટનગર પણ એક સંપૂર્ણ નવું વસાવેલું શહેર હશે જેને નવી રાજધાનીઓ જેમ કે નવા રાયપુર, ગાંધીનગર અને ભુવનેશ્વરની જેમ આયોજિત કરી વિકસાવવામાં આવશે.
આ માટે આઇઆઇટી દિલ્હી અને શહેરમાં સ્થિત વાદા ફાઉન્ડેશનના નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. તેઓ વિભાજન થયું તે પહેલા જ માળખાકીય જરૂરિયાતોનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમના અંદાજ મુજબ આધુનિક શહેર વિકસાવવા માટે ઓછામાં ઓછા રૂપિયા 2.5 લાખ કરોડનો ખર્ચ થશે.
નવા શહેરના વિકાસ માટે ટ્રાન્સપોર્ટેશન જેમ કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રોડ ટ્રાન્સપોર્ટ અને રાજ્યના તમામ શહેરોને જોડતા માર્ગોની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવશે. આ સાથે પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન ગ્રીડ, બેકઅપ સપ્લાય ફેસિલિટી, ભૂગર્ભ ગટર યોજના, પાણી પુરવઠાની લાઇનો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વગેરે બાબતોને પણ કેન્દ્રમાં રાખીને શહેર વિકસાવવામાં આવશે.
આ નવી શહેરને વિકસાવવા અંગેનો રિપોર્ટ કેન્દ્રની કમિટીને સોંપવામાં આવશે. હાલમાં ચારમિનાર વાળા શહેર હૈદરાબાદને સંયુક્ત રાજધાની બનાવવામાં આવી છે. ગયા વર્ષે હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા ટ્રાન્સપોર્ટેશન સંબંધિત વિસ્તૃત અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું હતું કે શહેરમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સુધારવા માટે દર વર્ષે રૂપિયા 5000 કરોડની જરૂર છે.