શનિધામના સંસ્થાપક દાતી મહારાજ પર બળાત્કારનો આરોપ
ફતેહપુર બેરીમાં શનિધામના સંસ્થાપક અને ધર્મ ગુરુ મહામંડલેશ્વર દાતી મદન મહારાજ રાજસ્થાની પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.
હમણાંથી બાબાઓના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. રામપાલ, આસારામ કે પછી બાબા રામ રહીમને જ જોઈ લો. જેઓ બળાત્કારના આરોપમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. હવે આ જ ક્રમમાં બીજા એક બાબાનું નામ જોડાઈ ગયુ છે. આ બાબા પણ ઘણા ફેમસ છે અને ઘણી ન્યૂઝ ચેનલો પર બેસીને પ્રવચન આપે છે. ફતેહપુર બેરીમાં શનિધામના સંસ્થાપક અને ધર્મ ગુરુ મહામંડલેશ્વર દાતી મદન મહારાજ રાજસ્થાની પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.
શનિધામની અંદર યૌન ઉત્પીડન
એક મહિલા શિષ્યએ તેમના પર આ આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવુ છે કે 2 વર્ષ પહેલા શનિધામની અંદર તેમનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યુ. ડરના કારણે તેમણે ફરિયાદ કરી નહોતી. દિલ્હી-એનસીઆરમાં લોકો મોટી સંખ્યામાં દાતી મહારાજનું અનુસરણ કરે છે. દિલ્હીમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. દાતી મહારાજ સામે આઈપીસીની ધારા 376, 377, 354 અને 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
બળાત્કાર બાદ ધમકી પણ આપી હતી દાતી મહારાજે
પીડિતાએ પોતાની ફરિયાદમાં એ પણ કહ્યુ હતુ કે બળાત્કાર કર્યા બાદ દાતી મહારાજે આ વાત કોઈને ન કહેવાની ધમકી પણ આપી હતી. વળી, પીડિતાના પિતાએ જણાવ્યુ કે તે સમયે તેમણે પોતાની દીકરીને દાતી મહરાજના સંરક્ષણમાં તેમના આશ્રમમાં જ મૂકી હતી.
શનિ દુશ્મન નહિ મિત્ર છે કહીને ચર્ચામાં આવ્યા દાતી મહારાજ
દાતી મહારાજે શનિને દુશ્મન નહિ બલ્કે મિત્ર ગણાવ્યા હતા. આના કારણે જે તેઓ ખાસા ચર્ચામાં પણ આવ્યા હતા. તમને જણાવી દઈએ કે દાતી મહારાજ નિયમિત રીતે રાષ્ટ્રીય સમાચાર ચેનલો પર આવે છે. તેમની પોતાની વેબસાઈટ છે અને પોતાની ‘શિક્ષા' નો વ્યાપ વધારવા માટે તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. દક્ષિણ દિલ્હીમાં તેમની પાસે વિશાળ ફાર્મ હાઉસ છે.
પીએમ મોદીના બેટી બચાવો, સ્વચ્છતા અભિયાનની પ્રશંસા
હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામલાલ મોદી સરકારના 4 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં દાતી મહારાજને મળ્યા હતા. તેમણે ફેસબુક પર લખ્યુ હતુ, "મહામંડલેશ્વર શનિધામ પરમહંસ દાતીજી મહારાજને કેન્દ્ર સરકારની ચાર વર્ષોની ઉપલબ્ધિઓવાળી બુકલેટ ભેટ આપી. તેમણે આશીર્વાદ સ્વરૂપ કહ્યુ મોદીજીએ બેટી બચાવો તેમજ સ્વચ્છતા માટે અદભૂત કાર્યો કર્યા છે."
બાબાઓના ચાલી રહ્યા છે ખરાબ દિવસો
તમને જણાવી દઈએ કે બીજા પણ ઘણા બાબાઓ પર ગંભીર આરોપો લાગ્યા છે. હાલમાં જ જોધપુર હાઈકોર્ટે આસારામને બળાત્કારના એક મામલામાં આજીવન કેદની સજા સંભળાવી હતી. તે પહેલા રામ રહીમ પર પણ યૌન શોષણનો આરોપ લાગ્યો. 25 ઓગસ્ટ 2017 ના રોજ પંચકૂલાની વિશેષ સીબીઆઈ અદાલતે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને પણ બળાત્કાર મામલે દોષિત જાહેર કર્યા.