મોદી લહેરને રોકવા માટે મહાગઠબંધન જરૂરીઃ શરદ પવાર
એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે, ભાજપને રોકવા માટે સમાન વિચારધારાવાળી પાર્ટીઓએ એકસાથે થવું જોઇએ.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર બની છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભાજપ ને પ્રચંડ બહુમત મળ્યો તથા મણિપુર અને ગોવામાં ભાજપે સહયોગીઓ સાથે મળીને સરકાર બનાવી છે. લોકસભા ચૂંટણી બાદ ભાજપનું કદ જે રીતે વિસ્તરી રહ્યું છે, તેને કારણે વિરોધી પક્ષોમાં ડર ઊભો થઇ રહ્યો છે.
કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પણ ભાજપને રોકવા માટે મહાગઠબંધનની વાત કહી છે. એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે, ભાજપને રોકવા માટે સમાન વિચારધારાવાળી પાર્ટીઓએ એકસાથે થવું જોઇએ. શરદ પવારે બિન-ભાજપ મહાગઠબંધન બનાવવાનું સૂચન કર્યું છે.
ગુજરાતના અમદાવાદમાં એનસીપીના નવા કાર્યાલયના ઉદઘાટન માટે આવેલા શરદ પવારે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીઓમાં જે રીતે ભાજપે સમર્થન મેળવ્યું છે, એને રોકવા માટે સમાન વિચારધારાવાળા દળોએ સાથે થવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ભાજપને રોકવા માટે તમામ બિન-ભાજપ પાર્ટીઓએ પોતાની ખામીઓનું આત્મવિશ્લેષણ કરવાની જરૂર છે.
અહીં વાંચો - મોદીની માફક ચા વેચતા કેશવ પ્રસાદ, આજે બન્યા ડેપ્યુટી CM
તેમણે કહ્યું કે, તમામ બિન-ભાજપ પાર્ટીઓએ સાથે થવું જોઇએ. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ અંગે તેમની કોઇ દળ સાથે વાતચીત નથી થઇ. શરદ પવારે કહ્યું કે, કોંગ્રેસ સાથે તેમનું ગઠબંધન ચાલુ રહેશે. તેમણે અન્ય દળો સાથે ગઠબંધનના દ્વાર પણ ખુલ્લા રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કોંગ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસ સાથે રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ પણ મહાગઠબંધનની વાત કહી ચૂક્યાં છે.