શીના બોરા હત્યા કેસમાં સાક્ષીએ કર્યો મોટો ખુલાસો
હાઇપ્રોફાઇલ અને સનસનીખેજ શીના બોરા હત્યાકાંડમાં સરકારી સાક્ષીએ તપાસકર્તાઓ સામે નવા અને મહત્વના ખુલાસા કર્યા છે......
2012માં થયેલા હાઇપ્રોફાઇલ અને સનસનીખેજ શીના બોરા હત્યાકાંડમાં સરકારી સાક્ષીએ તપાસકર્તાઓ સામે નવા અને મહત્વના ખુલાસા કર્યા છે.
શીના બોરા હત્યાકાંડમાં સરકારી સાક્ષી બનેલા આરોપી શ્યામવર રાયની માનીએ તો શીનાની હત્યાની મુખ્ય આરોપી ઇન્દ્રાણી મુખર્જીના પતિ પીટર મુખર્જીને આ હત્યાકાંડની પૂરેપૂરી જાણકારી હતી. તેને એ પણ ખબર હતી કે માર્યા બાદ શીનાને ક્યા દફનાવવાની છે.
શ્યામવરના જણાવ્યા મુજબ, શીનાની ગળુ દબાવીને હત્યા કર્યા બાદ ઇન્દ્રાણી મુખર્જીએ પોતાના પતિને ફોન કરીને જણાવ્યું કે તેણે લાશ ક્યાં દફનાવી છે. એપ્રિલ 2016 માં શ્યામવરે દાખલ કરાવેલી આ જુબાનીને તપાસ એજંસીએ અદાલત સામે રજૂ કરી. તેણે બે પાનાની જુબાની આપી અને તે સીબીઆઇની ત્રીજી ચાર્જશીટનો ભાગ છે.
શ્યામવરની આ જુબાની ખાસ કરીને પીટર મુખર્જી માટે મુશ્કેલીનું કારણ બની શકે છે કારણકે પીટરે પૂછપરછમાં આ હત્યાકાંડ અંગેની જાણકારી હોવા અંગે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. શ્યામવર આ પહેલા આ હત્યામાં પોતાની સંડોવણી કબૂલી ચૂક્યો છે પરંતુ ત્યારે તેણે પીટર મુખર્જીની વિરુદ્ધમાં એક શબ્દ પણ કહ્યો નહોતો. આ કેસના ત્રણ વર્ષ બાદ 2015 માં પહેલી ધરપકડ થઇ હતી. જ્યારે 19 નવેમ્બરે સંજીવ ખન્ના, ઇન્દ્રાણી મુખર્જી અને શ્યામવર રાય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઇ હતી.