શિવાજી સાથે પીએમ મોદીની તુલનાથી ભડકી શિવસેના, ‘છત્રપતિએ રમખાણોની રાજનીતિ નથી કરી'
કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષની સહયોગી શિવસેનાએ યુપીના સીએમ યોગી આદિત્યનાથના છત્રપતિ શિવાજી અંગે આપેલા નિવેદન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે.
કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષની સહયોગી શિવસેનાએ યુપીના સીએમ યોગી આદિત્યનાથના છત્રપતિ શિવાજી અંગે આપેલા નિવેદન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. હાલમાં જ યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક કાર્યક્રમ દરમિયાન છત્રપતિ શિવાજી સાથે પીએમ મોદીની તુલના કરી હતી. શિવસેના સાંસદ સંજય રાઉતે સીએમ યોગીના આ નિવેદન બાદ પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યુ છે કે છત્રપતિ શિવાજીએ પોતાના જીવનકાળમાં ક્યારેય 'રમખાણોની રાજનીતિ' કરી નથી.
‘શિવાજીથી બિલકુલ અલગ છે ભાજપ'
બુધવારે મુંબઈમાં વરિષ્ઠ પત્રકાર જનબ સઈદ હામિકના પુસ્તક ‘છત્રપતિ શિવાજી મહારાજ અને મુસલમાન' ના વિમોચન પ્રસંગે સંજય રાઉતે કહ્યુ, '17 મી સદીમાં મરાઠા રાજા છત્રપતિ શિવાજીના જીવનની વિશેષતાઓ, વર્તમાન સત્તારુઢ ભારતીય જનતા પક્ષથી એકદમ અલગ હતા. હાલમાં જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીની તુલના છત્રપતિ શિવાજી સાથે કરી, જો કે તે ભૂલી રહ્યા છે કે છત્રપતિ શિવાજીએ પોતાના જીવનમાં ક્યારેય રમખાણોની રાજનીતિ કરી નહોતી.'
આ પણ વાંચોઃ ઓવૈસીઃ ‘જો લગ્નેત્તર સંબંધો ગુનો નથી તો ત્રણ તલાક કેમ?'
રાફેલ અંગે પીએમ પર સાધ્યુ નિશાન
સંજય રાઉતે વિવાદિત રાફેલ ડીલ પર ચાલી રહેલા રાજકીય ઘમાસાણ અંગે પણ પીએમ મોદી પર નિશાન સાધ્યુ. કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સંજય રાઉતે કહ્યુ, ‘દરેક જણ એ જાણવા માટે ઉત્સુક છે કે સંરક્ષણ ક્ષેત્રમાં કોઈ પણમ પ્રકારનો અનુભવ ન ધરાવતી કંપની સાથે રાફેલ વિમાન બનાવવાનો સોદો કર્યા બાદ આ લડાકૂ વિમાનોની કિંમત પોતાની વાસ્તવિક કિંમત કરતા ત્રણ ગણી કેવી રીતે વધી ગઈ? આ મામલે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનું નિવેદન પણ ચોંકાવનારુ છે.'
‘શિવાજીની સેનામાં મહત્વના પદો પર હતા મુસલમાન'
કાર્યક્રમમાં સંજય રાઉતે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં મુસ્લિમોની ભાગીદારીની પણ પ્રશંસા કરી. સંજય રાઉતે કહ્યુ, ‘છત્રપતિ શિવાજીએ પોતાની સેનામાં મહત્વપૂર્ણ પદો પર મુસ્લિમ સમાજના લોકોને તૈનાત કર્યા હતા.' કાર્યક્રમમાં હાજર એનસીપીના પ્રવકતા નવાબ મલિકે કહ્યુ, ‘આરએસએસના હિંદુ રાષ્ટ્રની નવી પરિભાષા બાદ સંજય રાઉતે મુસલમાનોના હકમાં એક પગલુ આગળ વધીને સેક્યુલર વલણ અપનાવ્યુ છે.'
આ પણ વાંચોઃ એડલ્ટરી કાયદા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતો