મુંબઇ, 7 મે: ગુજરાતીઓની વિરોધમાં શિવસેનાના મુખપત્ર સામનામાં સંજય રાઉત દ્વારા લખવામાં આવેલા તંત્રીલેખ બાદ આ મુદ્દે સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેનું ઘર્ષણ બહાર આવ્યું છે. ઉદ્ધવે સામનામાં છપાયેલા આ લેખથી પોતે સહમત નહીં હોવાનું જણાવ્યું હતું, બાદમાં તેમણે સંજય રાઉતને તંત્ર પદેથી હટાવી પણ દીધા છે. હવે ઉદ્ધવના દેખરેખ હેઠળ જ તંત્રી લેખ છપાશે.
સામનામાં એક મેના રોજ છપાયેલ તંત્રી લેખમાં સંજય રાઉતે મુંબઇમાં વસેલા ગુજરાતી વ્યાપારિઓના મહારાષ્ટ્ર પ્રેમ પર સવાલ ઉભા કર્યા હતા. ગુજરાતી સમાજને નિશાના પર લીધા બાદ ઘણો વિવાદ સર્જાયો હતો.
સૂત્રોની માનીએ તો હવે પાર્ટીના પ્રવક્તા સુભાષ દેસાઇ અને વરિષ્ઠ નેતા લીલાધર ઢાકેની દેખરેખમાં ઉદ્ધવ ઠાકરેની મંજૂરી બાદ તંત્રી લેખ છપાશે. જ્યારે સંજય રાઉતને સામનાના તંત્રી લેખથી દૂર કરાયા છે. તેઓ લગભગ 15 વર્ષથી સામનાના તંત્રી લેખની કમાન સંભાળી રહ્યા હતા, તથા શિવસેનાના રાજ્યસભાના સાંસદ પણ છે.
અહીં સુધી ઉદ્ધવ ઠાકરે ના પુત્ર અને પાર્ટીના યુવા સંગઠન 'યુવા સેના'ના પ્રમુખ આદિત્યએ આજે જણાવ્યું કે 'છેલ્લા બે દિવસથી બિનજરૂરી વિવાદને મીડિયામાં હવા આપવામાં આવી રહી છે અને શિવસેના અને ગુજરાતી સમુદાયની વચ્ચેના પ્રગાઢ સંબંધોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે આ વિવાદ પર વિરામ લાગવો જોઇએ.'
આદિત્યએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે 'જેમ શિવસેના પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવજી ઠાકરેએ પોતાના વ્યક્તિગત નિવેદનમાં જણાવ્યું હતું, અમે અમારી વચ્ચે અથવા મુંબઇના ગુજરાતી સમુદાયની વચ્ચે કોઇ ભેદભાવ નથી ઇચ્છતા અને અમે ક્યારેય પાર્ટીના કોઇ વ્યક્તિ અથવા નેતા દ્વારા આ પ્રકારના વિચારોનું સમર્થન કર્યું નથી. આ અમારા વિચારો છે, અમે ક્યારેય એક મેના રોજ છપાયેલ તંત્રી લેખનું સમર્થન કર્યું નથી. '
આદિત્યએ જણાવ્યું કે 'ગુજરાતી લોકો હંમેશા બાળા સાહેબ ઠાકરેના નજીક રહ્યા છે. અમે સૌ જરૂરીયાત અનુસાર હંમેશા એક બીજાની મદદ કરીએ છીએ અને વર્ષ 1995-99ની શિવસેના-ભાજપ સરકારમાં તેમણે સુરક્ષિતતાનો અનુભવ પણ કર્યો.'