ભાજપને ઝટકો, શિવસેનાએ કહ્યુ, ‘પોતાના દમ પર લડીશુ લોકસભા ચૂંટણી’
શિવસેનાએ ભાજપને લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો આપ્યો છે. શિવસેના તરફથી કહેવામાં આવ્યુ છે કે પક્ષ આગામી બધી ચૂંટણીઓ એકલા હાથે જ લડશે.
લોકસભા ચૂંટણી 2019 માટે રણનીતિ તૈયાર કરવા અને પોતાના સહયોગીઓને મનાવવાના ક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જો કે, અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાતના થોડા કલાક પહેલા જ બંને પક્ષો વચ્ચે તનાતની ફરીથી એક વાર સામે આવી હતી પરંતુ ભાજપના સૂત્રો મુજબ બંને નેતાઓ વચ્ચેની મુલાકાત સકારાત્મક રહી હતી.
ચૂંટણી પહેલા મોટો ઝટકો
બુધવારે માતોશ્રીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને શિવસેના પ્રમુખ વચ્ચેની બેઠકમાં ટિકિટોની વહેંચણી મુદ્દે થયેલી વાતચીત બાદ ઉદ્ધવ ઠાકરે રાજી થઈ ગયા હતા. પરંતુ આ મુલાકાતના થોડા કલાકો બાદ જ શિવસેનાએ ભાજપને લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો આપ્યો છે. આ પહેલા ભાજપના સૂત્રોનો દાવો હતો કે અમિત શાહે નારાજ ઉદ્ધવ ઠાકરેને મનાવી લીધા છે અને ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ વચ્ચે મુલાકાત દરમિયાન કેબિનેટ વિસ્તાર અને સીટની વહેંચણી મુદ્દે ચર્ચા થઈ હતી.
આગામી બધી ચૂંટણીઓ એકલા હાથે જ લડશેઃ સંજય રાઉત
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ છે કે પક્ષને ખબર છે કે ભાજપ નેતા કયા કારણથી મળવા આવ્યા હતા પરંતુ પક્ષે એક પ્રસ્તાવ પાસ કર્યો હતો કે આગામી ચૂંટણી મેદાનમાં એકલા જ ઉતરીશુ અને આ પ્રસ્તાવમાં કોઈ બદલાવ થવાનો નથી. પાલઘર પેટાચૂંટણીમાં સામસામે આવી ગયેલી શિવસેનાને મનાવવાની ભાજપ કોશિશ કરી રહ્યુ છે. ટીડીપીનો પહેલેથી જ મોહભંગ થઈ ચૂક્યો છે. હવે શિવસેના ભાજપથી અલગ થશે તો પક્ષને આગામી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભારે નુકશાન થઈ શકે છે.
શિવસેનાએ ભાજપને આપ્યો ઝટકો
મુલાકાતના આગલા દિવસે જ શિવસેનાએ ભાજપને ઝટકો આપ્યો છે. શિવસેના તરફથી કહેવામાં આવ્યુ છે કે પક્ષ આગામી બધી ચૂંટણીઓ એકલા હાથે જ લડશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે પાલઘરમાં એક સભાને સંબોધિત પણ કરશે.
‘સંપર્ક ફૉર સમર્થન’ અંગે પણ શિવસેનાએ કર્યો હતો હુમલો
આ પહેલા બુધવારે પણ શિવસેનાના મુખપત્ર ‘સામના' માં ભાજપના ‘સંપર્ક ફૉર સમર્થન' અંગે નિશાન સાધવામાં આવ્યુ હતુ અને કહ્યુ હતુ કે શિવસેના 2019 લોકસભા ચૂંટણીમાં એકલા જ ચૂંટણી લડશે. ‘સામના' ના સંપાદકીયમાં બુધવારે અમિત શાહની એનડીએના સહયોગીઓ સાથે મુલાકાત પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને તેના માટે લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હારને મોટુ કારણ ગણાવવામાં આવ્યુ હતુ. શિવસેનાએ પાલઘરમાં પોતાનો દમ બતાવ્યો હતો. આ સ્થિતિમાં ભાજપના ‘સંપર્ક ફૉર સમર્થન' નું આ જ કારણ હોઈ શકે છે.