'અલગ મુંબઇ' અંગે શોભા ડેના ટ્વિટે મચાવ્યો વિવાદ
મુંબઇ, 1 ઓગસ્ટ : જાણીતા લેખિકા શોભા ડે માટે 'ખાડો ખોડે તે પડે' કહેવત સાચી પડી છે. ટ્વિટર પર શોભા ડે એ કરેલી ટ્વિટે તેમની મુશ્કેલી વધારી દીધી છે. તેલંગાણા રાજ્યની રચનાની જાહેરાત બાદ દેશભરમાં નવા સ્વતંત્ર રાજ્યો માટેની માગણીઓ પ્રબળ બની રહી છે. ત્યારે શોભા ડેએ પણ ટ્વિટર પર માગણી કરી કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવું જોઈએ.
શોભાની આ વિવાદાસ્પદ ટ્વિટથી મહારાષ્ટ્રમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. શોભા ડેએ પોતાની ટ્વિટમાં લખ્યું છે : Maharashtra and Mumbai??? Why not? Mumbai has always fancied itself as an independent entity, anyway. This game has countless possibilities.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શોભા ડેને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, કોઈ રાજ્યની રચના કરવી એ કંઈ છૂટાછેડા લેવા જેટલું આસાન હોતું નથી અને આ વાત તે (શોભા) સારી રીતે જાણે છે.
રાજ ઠાકરેના પ્રત્યાઘાત અંગે શોભા ડેનું ધ્યાન દોરતાં તેમણે કહ્યું કે તેલંગાણાની રચનાના સંદર્ભમાં મારું ટ્વિટ કટાક્ષમય હતું. એને સીધા અર્થમાં ન લેવાય. હું ન તો એની ભલામણ કરું છું કે ન તો એને સમર્થન આપું છું. મુંબઈ એક શહેર રાજ્ય તરીકેનો આઈડિયા ઘણા વર્ષો પહેલા રજૂ કરાયો હતો.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા, વિધાનસભ્ય નવાબ મલિકે પણ શોભા ડેની ટીકા કરી છે. તેમણે કહ્યું કે મુંબઈ સહિત મહારાષ્ટ્રની રચનાનો મોટો ઈતિહાસ છે. શોભા ડેએ આવું બોલતાં પહેલાં ઈતિહાસ વાંચવો જોઈતો હતો.
આ મુદ્દે ભાજપે જણાવ્યું છે કે શોભા ડે એ વાત ના ભૂલે કે મુંબઇ અને મહારાષ્ટ્રને એક કરવા માટે 105 લોકોએ પોતાના જીવનની આહૂતિ આપી હતી. ભાજપના નેતા વિનોદ તાવડેએ શોભા ડેને પોતાની ટ્વિટ પાછી ખેંચવા અપીલ કરી છે.