સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદનું રાજીનામું પાછું ખેંચ્યું, કોંગ્રેસ સામે શરતો રાખી!
પંજાબ કોંગ્રેસમાં અંદરની લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસના નેતા નવજાત સિંહ સિદ્ધુ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર અવારનવાર પ્રહાર કરતા રહ્યાં છે.
ચંદીગઢ, 05 નવેમ્બર : પંજાબ કોંગ્રેસમાં અંદરની લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસના નેતા નવજાત સિંહ સિદ્ધુ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર અવારનવાર પ્રહાર કરતા રહ્યાં છે. આ દરમિયાન શુક્રવારે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું પાછું ખેંચી છે. જો કે નવજોત સિંહ સિદ્ધુએ કામકાજ સંભાળવા શરત પણ મૂકી છે. રાજીનામું પાછું લેતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, નવા એડવોકેટ જનરલની રચના થતાં જ હું કોંગ્રેસ કાર્યાલય જઈશ અને ચાર્જ સંભાળી લઈશ.
નવજોત સિંહ સિદ્ધુએ આજે ચંદીગઢમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. મીડિયાને સંબોધતા નવજોત સિદ્ધુએ પોતે રાજીનામું પાછું ખેંચવાની માહિતી આપી હતી. સિદ્ધુએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ અને પ્રિયંકાજીના આ સૈનિકે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. જે દિવસે નવા એજી અને ડીજીપીની રચના થશે અને નવી પેનલ આવશે, તે દિવસે હું ઓફિસમાં જઈને ચાર્જ સંભાળીશ.
સિદ્ધુએ કહ્યું કે, હું પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે મારું રાજીનામું પાછું લઈ રહ્યો છું. સિદ્ધુએ ભલે રાજીનામું પાછું ખેંચી લીધું હોય પરંતુ ઘણા મુદ્દા પર તેમણે ચન્ની સરકારને અરીસો બતાવ્યો છે. તેમને કહ્યું કે, વર્ષ 2017માં જૂની સરકાર બે મુદ્દા પર ગઈ અને નવી આવી. હવે ફરી નવા સીએમ આવ્યા છે, તેમની સામે એ જ પડકારો છે. તેણે સીએમ ચન્ની પર એક પછી એક આરોપો લગાવ્યા.
સિદ્ધુએ કહ્યું કે, તત્કાલિન ડીજીપી સુમેધ સિંહ સૈનીનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ જે ગુરુ ગ્રંથ સાહિબના અપમાન સમયે તત્કાલીન ડીજીપી હતા, તેમને એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પોતાની જ સરકાર અને નવનિયુક્ત સીએમ ચરણજીત સિંહ ચન્ની પર મોટો પ્રહાર કરતા કહ્યું કે, મુખ્યમંત્રી બદલાયા બાદ છેલ્લા 50 દિવસમાં આ સરકારે એસટીએફ રિપોર્ટ ખોલવો જોઈએ, જે 2017માં બંધ થયો છે. ડ્રગ્સ કેસમાં હાઈકોર્ટ અને ગુરુ ગ્રંથ સાહેબના અપમાનના કેસના ન્યાય માટે શું કરવામાં આવ્યું?
સિદ્ધુએ વધુમાં કહ્યું કે, હું તેમને (CM)ને લાંબા સમયથી મળી રહ્યો છું. છેલ્લા 1 મહિનાથી તેની સાથે વાત કરી રહ્યો છું. પહેલી મીટિંગ પંજાબ ભવનમાં થઈ હતી, તે સમયે વાત એવી હતી કે પેનલ (ડીજીપી પર) આવશે અને એક અઠવાડિયામાં વસ્તુઓ નક્કી કરવામાં આવશે. 90 દિવસની સરકાર છે અને 50 દિવસ થઈ ગયા છે. અંગત કંઈ નથી, હું રાજ્ય માટે તેની સાથે વાત કરી રહ્યો છું. રાજ્ય માટે જે સારું કરી શકાય તેના માટે તેમની સાથે વાત કરું છું. મારા ચરણજીત ચન્ની સાથે કોઈ મતભેદ નથી, બિલકુલ નથી. હું જે પણ કરું છું, પંજાબ માટે કરું છું. હું પંજાબ માટે ઉભો છું. પંજાબ મારો આત્મા છે. તે મારું લક્ષ્ય છે.