અમિત શાહે સ્મૃતિ, હેમા અને કિરણ બેદીના નામે નનૈયો ભર્યો
નવી દિલ્હી: ગુરુવારે, ભાજપની નવી રાષ્ટ્રિય કારોબારીનું પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પુનર્ગઠન કર્યું. પણ આ કારોબારીમાં ભાજપના મોટા ભાગના જાણીતા મહિલા નેતાઓને દૂર રાખવામાં આવ્યા.
અમિત શાહે સ્મૃતિ, નજ્મા, હેમા, કિરણના નામનું પત્તું કાપ્યું.
નોંધનીય છે કે સ્મૃતિ ઇરાની અને નજ્મા હેપ્તુલ્લા જેવા કેન્દ્રિય પ્રધાનોને આ કારોબારીમાં લેવા માટે અમિત શાહે નનૈયા ભર્યો. એટલું જ નહીં સાંસદ હેમા માલિની, મહારાષ્ટ્રમાં પાર્ટીની યુવા નેતા સાઇના એન.સી. અને દિલ્હીમાં પાર્ટીના મુખ્યમંત્રી પદની દાવેદાર એવી કિરણ બેદીને પણ આ કારોબારીમાં સમાવામાં આવ્યા નથી.
રાષ્ટ્રિય કારોબારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત 111 સદસ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ યાદીમાં 27 વિશેષ આમંત્રિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપમંત્રીનું પણ નામ છે.
પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ 40 લોકોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ રાજ્ય વિધાનસભાઓ અને વિધાન પરિષદોના મુખ્ય નેતાઓનો સમાવેશ થાય છે.
આ કારોબારીમાં રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, નિતિન ગડકરી, મેનકા ગાંધી, સુરજ પ્રભુ જેવા મોટા નેતાઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ કારોબારીની પહેલી બેઠક એપ્રિલમાં બેંગલૂર ખાતે થાય તેવી શક્યતા છે.