સોનિયાએ કહ્યું 'જાગ્યા ત્યારથી સવાર, નવા જોમ સાથે પાછા ફરો'
લખનૌ, 14 જૂન : સ્વતંત્ર ભારતની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ પોતાની પાર્ટીના હારેલા નેતાઓને હવે 'જાગ્યા ત્યારથી સવાર'ની શીખામણ આપીને તેમના પ્રોત્સાહનમાં વધારો કર્યો છે. આ સાથે મોડા મોડા સોનિયા ગાંધીએ પોતાની પાર્ટીની હાર સ્વીકારી છે અને પાર્ટી નવા જોમ અને ઉત્સાહ સાથે ફરી મેદાનમાં ઉતરશે તે સંદર્ભમાં કોંગ્રેસના નેતાઓને ચિઠ્ઠી લખીને જાણ કરી છે.
સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું છે કે આપે નિરાશ થવાની જરૂર નથી. પાર્ટી પોતાના મૂલભૂત સિદ્ધાંતોને વળગી રહેશે અને તેના પર આગાળ વધીને પોતાના ગુમાવેલા ગૌરવને પાછું મેળવશે.
સોનિયા ગાંધીએ પોતાના લોકસભા મતવિસ્તાર રાયબરેલીમાં આયોજિત આભાર સભામાં કોંગ્રેસના કાર્યકરોનો આભાર માનતા જણાવ્યું હતું કે 'દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી જીતવામાં કોઇ કસર બાકી રાખી નથી. મને દુ:ખ છે કે આમ છતાં કોંગ્રેસને ઓછી બેઠકો મળી છે. કોઇ ને કોઇ કારણ જરૂર રહ્યું છે. કેટલીક બાબતો સામે પણ આવી છે. જેના પર હું બરાબર ધ્યાન આપી રહી છું અને તે માટે અસરકારક પગલાં પણ ભરીશ.'
આપણે આપણા મૂળભૂત સિદ્ધાંતો પર ચાલીને કોંગ્રેસનું જૂનું ગૌરવ પાછું અપાવીશું. કોંગ્રેસ જે વિસ્તારોમાં હારી છે આપણે ત્યાંના લોકોનો વિશ્વાસ ફરીથી જીતવો પડશે. આ કામમાં હું સૌથી આગળ ચાલીશ. હું જ્યાં સુધી કોંગ્રેસની આન, બાન અને શાન પાછી નહીં લાવું ત્યાં સુધી નિરાંતથી બેસીશ નહીં.
સોનિયા ગાંધીએ જણાવ્યું કે આપણે નવા જોમ અને ઉત્સાહ સાથે કામ શરૂ કરવું પડશે. વિધાનસભા, નગર નિગમો, નગર પાલિકાઓ અને નગર પંચાયતો, જ્યાં પર પણ કોંગ્રેસના લોકો છે. તેમણે જનતાના મુદ્દા ઉઠાવી તેમનો સાથ આપવો પડશે. આ માર્ગ મુશ્કેલીઓ ભરેલો છે. પરંતુ આપણે ભરપૂર પરિશ્રમ કરવાની તૈયારી સાથે આગળ વધવાનું છે. મને વિશ્વાસ છે કે સફળતા જરૂર મળશે અને જનતા કોંગ્રેસની ભાવના સમજી શકશે.