રાહુલ નહીં, સોનિયા ગાંધી છે ચૂંટણીમાં હાર માટે જવાબદાર?
નવી દિલ્હી, 2 જૂન : લોકસભા ચૂંટણી 2014માં ધોબીપછાડ મેળવવા માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા બાદ હવે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી સામે પણ પાર્ટીની અંદર વિરોધનો અવાજ વધી રહ્યો છે. બિહારના કિશનગંજના કોંગ્રેસી સાંસદ મૌલાના અસરારુલ હકે ચૂંટણી દરમિયાન સોનિયા ગાંધીને જામા મસ્જિદના શાહીઇમામ સૈયદ અહમદ બુખારીને મળવાથી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હોવાનું કારણ જણાવ્યું છે. હકના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ આમ કરવું જોઇતું ન હતું.
આ અંગે કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે પણ જણાવ્યું કે 'મેં હંમેશાથી ઇમામ બુખારીને સાંપ્રદાયિક વિચારધારાવાળી વ્યક્તિ માનતો રહ્યો છું, કારણ કે તેમણે વર્ષ 2004માં અટલ બિહારી વાજપેયીના પક્ષમાં ફતવો આપ્યો હતો. હું તેમને સેક્યુલર વ્યક્તિ માનતો નથી.'
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના મેંબર અને બિહારથી બે વારના સાંસદ હકે જણાવ્યું હતું કે 'જો આપ કોઇ અપીલ કરવા માંગતા હતા તો સૌના માટે કરી હોત. કોઇ ખાસ વર્ગ માટે નહીં.શાહી ઇમામને મળવાનો પ્રયત્ન અમારી વિરુદ્ધ કરવામાં આવી.'