સોનિયાની ભલામણથી સાંસદ બન્યા હતા સચિન: શુક્લા
મુંબઇ, 13 નવેમ્બર: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ અને કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને રાજ્યસભા સાંસદ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કરી હતી.
શુક્લાએ એક કાર્યક્રમમાં આ ખુલાશો કર્યો. તેમણે જણાવ્યું કે સચિનને સાંસદ બનાવવાનો આઇડિયા મારો ન્હોતો. અમે લોકો તો સીનિય ખેલાડીઓ રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરના નામની ભલામણ કરી રહ્યા હતા. પરંતુ સોનિયા ગાંધીએ જણાવ્યું કે સચિનને તૈયાર કરો. મેં જણાવ્યું કે તેઓ હજી તો રમી રહ્યા છે, તેઓ કેવી રીતે આવી શકે છે, તેમણે જણાવ્યું કે વાત તો કરો.
તેમણે જણાવ્યું કે તે સમયે સચિન બાંગ્લાદેશમાં રમી રહ્યા હતા. મેં તેમની સાથે વાત કરી. સચિને જણાવ્યું કે પહેલા પરિવાર સાથે વાત કરી લઉ. ત્યારે જ મને દસ ટકા સંભાવના લાગી રહી હતી. બીજા દિવસે તેમણે ફોન કર્યો કે પરિવાર તેમની સાથે છે. મેં સોનિયા ગાંધીને જણાવ્યું. સોનિયા ગાંધીએ સચિન સાથે વાત કરી અને પછી વાત આગળ વધી.
14 નવેમ્બરે મુંબઇમાં પોતાની છેલ્લી મેચ રમવા જઇ રહેલા સચિનના વખાણ કરતા તેમણે જણાવ્યું કે સચિને પોતાના પિતાને ત્રણ વચન આપ્યા હતા. પહેલું ક્યારેય દારુ નહીં પીવે, બીજું સિગરેટ નહીં પીવે અને ત્રીજું ક્યારેય રાજનીતિમાં નહીં આવે. સચિન કોઇ પાર્ટીને જોઇન્ટ કરીને રાજનીતિમાં આવશે, મને એવું લાગતું નથી.