તરુણ તેજપાલની મદદ માટે સોનિયા ગાંધીએ ચિદમ્બરમને પત્ર લખ્યો હતો?
સોનિયા ગાંધીએ તેમની સરકાર સમયે તરૂણ તેજપાલની કરી હતી મદદ? સોનિયા ગાંધીએ લખ્યો હતો પી ચિદમ્બરમને પત્ર? આ અંગે વધુ વાંચો અહીં.
બે અંગ્રેજી સમાચાર ચેનલોના અહેવાલ અનુસાર, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(યુપીએ) વર્ષ 2004માં સત્તામાં આવ્યાના 4 મહિના બાદ સોનિયા ગાંધીએ તે સમયના નાણાં મંત્રી પી.ચિદમ્બરમને તહલકા ન્યૂઝ પોર્ટલના ફાઇનાન્સરો માટે એક પત્ર લખ્યો હતો. સમાચાર ચેનલોનો દાવો છે કે, તેમના હાથમાં સોનિયા ગાંધીનો એ પત્ર આવ્યો છે. આ પત્રમાં સોનિયા ગાંધીએ તહલકાની ફાઇનાન્સર કંપની ફર્સ્ટ ગ્લોબલ વિરુદ્ધ ચાલી રહેલી તપાસના મામલે નિર્દેશ આપ્યા હતા. એ સમયે તહલકાના સંપાદક હતા તરુણ તેજપાલ, જેઓ વર્તમાન સમયમાં બળાત્કારના આરોપ હેઠળ જામીન પર છે.
સોનિયા ગાંધી તરફથી પી.ચિદમ્બરમને પત્ર લખવામાં આવ્યો એના ચાર દિવસ બાદ યુપીએ સરકારે મંત્રીઓના એક સમૂહનું ગઠન કર્યું અને લગભગ 6 મહિના બાદ ફર્સ્ટ ગ્લોબલ વિરુદ્ધ ચાલતી તપાસ પાછી ખેંચી લેવામાં આવી. ચેનલો તરફથી પ્રસારિત ખબરો અનુસાર, પ્રાઇવેટ કંપની ફર્સ્ટ ગ્લોબલના શંકર શર્મા અને દેવિના મેહરાએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. એના આગલા દિવસે જ ચિદમ્બરમે ઇડી(Enforcement Directorate) અને સીબીડીટીના પ્રમુખો સાથે મુલાકાત કરી હતી. એ સમયે ઇડી તહલકાની કાર્યશૈલીની તપાસ કરી રહ્યું હતું. તો બીજી બાજુ પી.ચિદમ્બરમે આ સમાચારના જવાબમાં કહ્યું છે કે, પત્ર પર ટિપ્પણી કરતાં પહેલાં સોનિયા ગાંધીના પત્ર અને તેમના જવાબને એક સાથે વાંચવો જોઇએ.