Sridevi : શ્રીદેવીનો પાર્થિવદેહ પહોચ્યો મુંબઇ, ચાહકો બન્યા ગમગીન
શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઇથી મુંબઇ એરપોર્ટ પહોંચી ગયો છે. જે બાદ હવે તેમને તેમના નિવાસ સ્થાને લઇ જવામાં આવ્યા છે. જાણો આ ખબર અંગે વધુ અહીં.
શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઇથી મુંબઇ એરપોર્ટથી હવે તેમના નિવાસ સ્થાને પહોંચી ગયો છે. બોલીવૂડની મહિલા મહાનાયક તેવી શ્રીદેવીનો ગત શનિવારે દુબઇમાં નિધન થયું હતું. જે બાદ ત્યાંની સરકારી પ્રક્રિયા પૂર્ણ કરીને આખરે 3 દિવસની લાંબી રાહ પછી તેમનો પાર્થિવ દેહ માદરે વતન પહોંચ્યો છે. મુંબઇમાં શ્રીદેવીના લોખંડવાલા સ્થિત ઘર "ગ્રીન એકર્ડ્સ"માં તેમના પાર્થિવ દેહને આજે રાતે રાખવામાં આવશે. વધુમાં શ્રીદેવીની ઘરની આસપાસ તેમના ચાહકોની ભીડ ઉમટી રહી છે. અને લોકો ગમગીન આંખે તેમની આ પ્રિય અભિનેત્રીને વિદાય આપી રહ્યા છે. વધુમાં બોલીવૂડના જાણીતા સેલેબ્રિટી પણ અહીં આવી રહ્યા છે. નોંધનીય છે કે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ લાવવા માટે અનિલ અંબાણીના એક ખાસ જેટને દુબઇ મોકલવામાં આવ્યું હતું. અને તેમાં તેનો પાર્થિવ દેહ ભારત લાવવામાં આવ્યો છે.
આ સાથે જ બોની કપૂર અને અર્જૂન કપૂર પણ ભારત પરત ફર્યા છે. નોંધનીય છે કે એરપોર્ટ પર શ્રીદેવીનો દિયર અનિલ કપૂર અને સંજય કપૂર સમેત કપૂર પરિવારના સદસ્યો હાજર છે. મુંબઇ પોલીસે પણ એરપોર્ટ પર સલામતીની ખાસ વ્યવસ્થા કરી છે. અને હવે એરપોર્ટથી તેમના પાર્થિવ દેહને તેમના લોખંડવાલા ખાતેના નિવાસ સ્થાને આજે રાત માટે રાખવામાં આવશે.
નોંધનીય છે કે તેમના ઘર ગ્રીન એકર્ડ્સને શ્રીદેવીના ફેવરેટ રંગ સફેદથી સજાવવામાં આવ્યું છે. તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમના ઘરનો ગેટઅપ સફેદ રંગથી સજ્જ કરવામાં આવ્યો છે. વધુમાં એરપોર્ટ થી લઇને તેમના ઘર સુધી તેમના ચાહકોની મોટી ભીડ તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડી છે. મુંબઇ પોલીસ પણ આ ચાંપતી વ્યવસ્થા આ માટે કરી છે. વધુમાં બુધવારે સવારે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે સેલિબ્રેશન ક્લબ લાવવામાં આવશે. જ્યાં સવારે 9:30 થી 12:30 વચ્ચે તેમના અંતિમ દર્શન કરી શકાશે. તે પછી બપોરે 3:30 જેવા વિલે પાર્લે સ્થિત પવન હંશ સમશાન ગૃહ ખાતે તેમને પંચમહાભૂતમાં વિલિન કરવામાં આવશે.