ભારત હવે સૌથી વધુ ગરીબ વસ્તીવાળો દેશ નહિઃ રિપોર્ટ
હાલમાં જ આવેલા એક રિપોર્ટ મુજબ ભારત હવે દુનિયાનો સૌથી વધુ ગરીબ વસ્તીવાળો દેશ રહ્યો નથી.
હાલમાં જ આવેલા એક રિપોર્ટ મુજબ ભારત હવે દુનિયાનો સૌથી વધુ ગરીબ વસ્તીવાળો દેશ રહ્યો નથી. ભારતે પોતાની સ્થિતિમાં સુધારો કરી દીધો છે અને બીજા નંબર પર આવી ગયો છે. આ વર્ષે મે માં નાઈજીરિયા એવો દેશ બન્યો છે જેમાં દુનિયાના સૌથી વધુ ગરીબ લોકો રહે છે. બ્રુકિંગ્ઝના 'ફ્યુચર ડેવલપમેન્ટ' બ્લોગમાં પ્રકાશિત રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
દર મિનિટે 44 ભારતીય દયનીય ગરીબીમાંથી બહાર
રિપોર્ટ મુજબ દર મિનિટે 44 ભારતીય અત્યંત ગરીબ શ્રેણીમાંથી બહાર નીકળી રહ્યા છે જે ઘણી સારી સ્થિતિ છે. રિપોર્ટ કહે છે કે જો દયનીય ગરીબી આ જ ઝડપે ખતમ થતી રહી તો 2018 પૂરુ થતા થતા ભારત સૌથી વધુ ગરીબ વસ્તીવાળા દેશોમાં ત્રીજા નંબરે આવી જશે. ત્યારે નાઈજીરિયા પહેલા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો બીજા નંબર પર હશે.
શું છે રિપોર્ટમાં ગરીબીનું માપદંડ
રિપોર્ટમાં એ વસ્તીને દયનીય ગરીબી હેઠળ માનવામાં આવી છે જેની પાસે પોતાના રોજિંદા જીવનનિર્વાહ માટે 1.9 ડૉલર (લગભગ 130 રૂપિયા) થી પણ ઓછી રકમ હોય છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે 2022 સુધી ત્રણ ટકાથી પણ ઓછા ભારતીયો એવા રહી જશે જેમની પાસે રોજિંદા જીવનનિર્વાહ માટે 1.9 ડૉલર નહિ હોય. વળી, 2030 સુધી ભારતમાં સૌની પાસે રોજિંદા જીવનનિર્વાહ માટે 1.9 ડૉલર હશે.
ભારતમાં 7 કરોડ 30 લાખ લોકો ખૂબ જ ગરીબ
અભ્યાસ કહે છે કે મે 2018 માં ભારતમાં 7 કરોડ 30 લાખ લોકો અત્યંત ગરીબ છે, વળી, નાઈજીરિયામાં 8 કરોડ 70 લાખ લોકો ખૂબ જ ગરીબ છે. ભારતમાં તેમની સંખ્યા ઘટી રહી છે. અભ્યાસ કહે છે કે આફ્રિકામાં દુનિયાના અત્યંત ગરીબ લોકોની બે તૃતીયાંશ વસ્તી રહે છે.