સુચિત્રા સેને સિનેમાને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું: મોદી
નવી દિલ્હી, 17 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શુક્રવારે અભિનેત્રી સુચિત્રા સેનના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે કે તેઓ એક ઉત્તમ અભિનેત્રી હતા. મોદીએ કહ્યું કે, તેમણે ભારતીય સીનેમાને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિગ્ગજ અભિનેત્રી સુચિત્રા સેનના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે અભિનેત્રીના અતિમ સંસ્કાર સમયે તેમને બંદૂકની સલામી આપવામાં આવશે.
સેનને અપાશે બંદૂકની સલામીઃ મમતા બેનર્જી
સુચિત્રા સેનના નિધનના સમાચાર મળ્યા બાદ હોસ્પિટલ પહોંચેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, સેનનું નિધન વૈશ્વિક સિનેમા અને બાંગ્લા સિનેમા માટે એક દુઃખદ સમાચાર છે. આવી પ્રતિભા માત્ર એક જ વાર જન્મ લે છે અને તેમની કોઇ તુલના નથી. આપણા માટે આજનો દિવસ ઘણો જ દુઃખદ છે. આપણે એક મહત્વપૂર્ણ વ્યક્તિને ગુમાવી દીધી. અમે તેમને બંદૂકની સલામી આપીને સન્મનિત કરીશું.
82 વર્ષીય અભિનેત્રીએ શુક્રવારે કોલકતાની નિર્સિંગ હોમમાં અંતિમ શ્વાસ લીધા. સેન શ્વાસ સંબંધિત સમસ્યાના કારણે છેલ્લા 26 દિવસથી કોલકતાની બેલે વ્યૂ ક્લિનિકમાં દાખલ હતા. તેઓ બાંગ્લાની દીપ જ્વલે જાય અને ઉત્તર ફાલ્ગુની જેવી ફિલ્મોમાં દમદાર અભિનયના કારણે જાણીતા હતા. હિન્દીમાં તેમણે દેવદાસ, બંબઇ કા બાબૂ, આંધી, મમતા અને મુસાફિર જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકા નિભાવી છે.