સુનંદા પુષ્કર કેસઃ શશિ થરૂરને લાગ્યો ધરપકડનો ડર, કરી આગોતરા જામીનની અરજી
સુનંદા પુષ્કરના હત્યા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસમાં દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટની સુનાવણી દરમિયાન દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરૂરને ઝટકો આપ્યો હતો
નવી દિલ્હીઃ સુનંદા પુષ્કરના હત્યા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસમાં દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટની સુનાવણી દરમિયાન દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરૂરને ઝટકો આપ્યો હતો. કોર્ટે થરૂરને નોટિસ મોકલીને 7 જુલાઈ સુધીમાં અદાલત સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. બીજી બાજુ સુનંદા પુષ્કર હત્યા કેસ મામલે કોર્ટમાં હાજર થતા પહેલાં જ શશિ થરૂરે આગોતરા જામીનની અરજી કરી દીધી છે. થરૂરને ડર છે કે સુનાવણી દરમિયાન એમની ધરપકડ થઈ શકે છે.
અદાલતના આદેશ મુજબ શશિ થરૂરે 7 જુલાઈ સુધીમાં હાજર થવાનું છે. જણાવી દઈએ કે શશિ થરૂરની પત્ની સુનંદાના હત્યા કેસ મામલે દિલ્હી પોલીસ તરફથી દાખલ કરવામાં આવેલ ચાર્જશીટ પર સુનાવણી કરતાં કોર્ટે થરૂરને નોટિસ મોકલી હતી. જ્યારે થરૂર આ કેસમાં ખુદને નિર્દોષ ગણાવી રહ્યા છે.
થરૂર પર વિવિધ પ્રકારના સવાલો ઉઠાવવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરી 2014ના રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરનો મૃતદેહ દિલ્હીની હોટલ લીલામાંથી મળી આવ્યો હતો. જે બાદ તેમના મૃત્યુ અંગે વિવિધ વાતો કહેવામાં આવી રહી હતી. કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં થરૂર પર વિવિધ પ્રકારના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ તરફથી પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં થરૂરને આરોપી બનાવવાની માંગ કરવામાં આવી હતી.
કોણ હતી સુનંદા પુષ્કર?
સુનંદા પુષ્કર મૂળ કાશ્મીરના સોપોર જિલ્લામાં રહેતાં હતાં પણ આતંકવાદના કારણે એમના આખા પરિવારે જમ્મૂમાં સ્થળાંતર કર્યું હતું. સુનંદાના પિતા સેનામાં ઑફિસર રહી ચૂક્યા હતા. સુનંદા 2005થી ટીકૉમ ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરી રહી હતી. દુબઈની હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પણ સુનંદા જોવા મળી હતી. આવી જ એક પાર્ટી દરમિયાન સુનંદા અને શશિ થરૂરની પહેલી મુલાકાત થઈ હતી.
શશિ થરૂર અને સુનંદાના લગ્ન
ઉલ્લેખનીય છે કે સુનંદાના પહેલાં લગ્ન દિલ્હીના સંજય રૈના સાથે થયાં હતાં પણ તેમનું લગ્ન જીવન એક વર્ષથી વધુ નહોતું ટકી શક્યું. બાદમાં સુનંદાએ કેરળના સુજીત મેનન નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં હતાં. એક દુર્ઘટનામાં સુજીતનું મૃત્યુ પામ્યો, જો કે સુનંદાને સુજીતથી એક દીકરો પણ થયો છે. સુજીતના મૃત્યુ બાદ સુનંદા અને શશિ થરૂરે કેરળમાં લગ્ન કર્યાં હતાં. જણાવી દઈએ કે શશિ થરૂરના પણ આ ત્રીજાં લગ્ન હતાં. 1977માં શશિકા તિલોત્તમા નામની યુવતી સાથે કોલકાતામાં શશિ થરૂરે પહેલા લગ્ન કર્યાં હતાં. તિલોત્તમાએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો બાદમાં થરૂરે તિલોત્તમાને તલાક આપી દીધા હતા. થરૂર સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કામ કરી રહ્યા હતા ત્યારે અહીંના કાર્યકર્તા અને કેનેડિયન યુવતી ક્રિસ્ટાને પ્રેમ કરી બેઠા. બંનેએ લગ્ન પણ કરી લીધાં અને 2010માં થરૂરે ક્રિસ્ટા પાસેથી પણ છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં થરૂર અને સુનંદા પુષ્કરે લગ્નની ગાંઠ બાંધી હતી પણ સાડા ત્રણ વર્ષ બાદ 17 જાન્યુઆરી 2014ના રોજ સુનંદા પુષ્કર મૃત અવસ્થામાંથી મળી આવી હતી.