સગીર વયની પત્ની સાથેના સંબંધ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
સુપ્રીમ કોર્ટ દ્વારા 15 વર્ષી 18 વર્ષની ઉંમરની પત્ની સાથે સંબંધ બનાવવા અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સગીર વયની પત્ની અને પતિના સંબંધો મામલો અને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 15થી 18 વર્ષની ઉંમરની પત્ની સાથે સંબંધ બનાવવાને બળાત્કાર ગણાવ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, શારીરિક સંબંધ માટે વિવાહની ઉંમર ઓછી ન કરી શકાય. જો સગીર વયની પત્ની એક વર્ષની અંદર આની ફરિયાદ કરે તો તેને બળાત્કાર માનવામાં આવશે અને પોલીસે પણ બળાત્કારનો મામલો નોંધવાનો રહેશે. સાથે જ કોર્ટ ફરી એકવાર જણાવ્યું હતું કે, શારીરિક સંબંધની ઉંમર મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં કરી શકાય.
આઇપીસીની કલમ 375(2) અનુસાર, 15 વર્ષથી 18 વર્ષની ઉંમરની પત્ની સાથે સંબંધ બનાવવાને બળાત્કાર ન કહી શકાય. જો કે, સુપ્રીમ કોર્ટે પોતાના બુધવારના ચૂકાદામાં આ કલમને નકારી હતી. બાળલગ્ન સંબંધિત કાયદા અનુસાર પણ લગ્ન માટે છોકરીની ઉંમર 18 વર્ષ હોવી જોઇએ. એવામાં જો આ કાયદાનું ઉલ્લંઘન થાય તો 18 વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે સંબંધ બનાવવો ગેરકાયદેસર ગણાય કે કેમ એ અંગે સુનવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે તેને બળાત્કારનું નામ આપ્યું હતું.
આ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, આઇપીસીની કલમ 375ને અપવાદ તરીકે રાખવી જોઇએ, જે પતિને સંરક્ષણ આપે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે, આ કલમને રદ્દ કરવામાં ન આવે અને સંસદને આ મામલે વિચારવિમર્શ કરવા માટે સમય આપવામાં આવે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, બાળલગ્ન સામાજિક દૂષણ છે, પરંતુ એ સમાજની એક સચ્ચાઇ પણ છે. આથી આની પર કાયદો બનાવવો પણ સંસદનું કામ છે અને આથી કોર્ટ આમાં દખલ ન કરે. કોર્ટે કહ્યું હતું કે, સદીઓથી ચાલી આવતી સતી પ્રથાને જે રીતે સમાપ્ત કરવામાં આવી, એ જ રીતે બાળ લગ્નનની પ્રથા પણ સમાપ્ત કરવી જોઇશે.