શું દિવાળીમાં સંપૂર્ણ રીતે ફટાકડા પર પ્રતિબંધ લાગશે? આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગશે? આજે સુપ્રીમમાં સુનાવણી
નવી દિલ્હીઃ દિવાળી પર દેશભરમાં ફટાકડાનું વેચાણ થશે કે નહિ, તેના પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વનો ફેસલો આવી શકે છે. સર્વોચ્ચ અદાલતે ગત વર્ષે 9 ઓક્ટોબરે દિવાળીથી ઠીક પહેલા દિલ્હી એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર રોક લગાવી દીધી હતી જેના કારણે દિવાળીની મજા ખતમ થઈ ગઈ હતી. ત્યારે આ વર્ષે દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટ મહત્વને ફેસલો સંભળાવશે કે દેશભરમાં ફટાકડાનું વેચાણ થવું જોઈએ કે નહિ.
દિવાળીમાં ફટાકડાને લઈને અલગ જ નજારો જોવા મળે છે, ખાસ કરીને બાળકોમાં આ તહેવારને લઈને વધુ ઉત્સાહ જોવા મળે છે. બજારમાં વિવિધ પ્રકારના ફટાકડા વેચાય છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર રોક લગાવી દીધી હતી જે બાદ દિલ્હી વાસીઓ માટે દિવાળી કોરી જ ગઈ હતી. ગયા વર્ષે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવા મામલે અરજી દાખલ કરતા કહેવામાં આવ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણને કારણે બાળકોના ફેફસા સરખી રીતે વિકસિત નથી થઈ શકતા.
વર્ષ 2016માં પણ દિવાળી બાદ પ્રદૂષણના મુદ્દે દાખલ કરેલ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 2017માં દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિંધ લગાવી દીધો હતો. જ્યારે બાદમાં કોર્ટે પોતાના આદેશમાં સંશોધન કરી કેટલીક શરતો સાથે ફટાકડાના વેપારીઓને અસ્થાયી લાઈસન્સની સંખ્યામાં 50 ટકાનો કાપ મૂકવાનો ફેસલો સંભળાવ્યો હતો.
આ પણ વાંચો- ત્રિપુરામાં ગોજારો અકસ્માત, 29 જવાન ઘાયલ, બેની હાલત ગંભીર