આધાર કાર્ડની માન્યતા પર સુપ્રીમ કોર્ટનો આજે મહત્વનો ચુકાદો
સુપ્રીમ કોર્ટમાં આજે આધાર કાર્ડની માન્યતા, પ્રમોશનમાં અનામત સહિત કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ, આરોપી નેતાઓની ખુરશી કોના આદેશ પર જશે જેવા મહત્વના મુદ્દાઓ પર ચુકાદો આવી શકે છે.
આધાર કાર્ડની માન્યતા અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વનો ચુકાદો આવી શકે છે. આ ઉપરાંત પ્રમોશનમાં અનામત સહિત કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ, આરોપી નેતાઓની ખુરશી કોના આદેશ પર જશે જેવા મહત્વના મુદ્દો પર પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ દીપક મિશ્રાના કાર્યકાળને હવે માત્ર ચાર દિવસ બાકી છે એવામાં આ તમામ મહત્વના મુદ્દાઓ પર તેમના ચુકાદા પર દરેકની નજર છે. ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે આગલા ચાર દિવસોમાં જસ્ટીસ મિશ્રા આ તમામ મુદ્દાઓ ઉપરાંત સબરીમાલા, મિલાવટ, અયોધ્યા જેવા મુદ્દાઓ પર પણ પોતાનો નિર્ણય આપશે.
પાંચ જજોની બેંચ આપશે ચુકાદો
આજે કોર્ટમાં થનારી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ આધાર પર પોતાનો ચુકાદો સંભળાવશે. આ કેસની સુનાવણી દરમિયાન પ્રાઈવસીના મૌલિક અધિકાર પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસને 9 જજોની બેંચ પાસે મોકલવામાં આવ્યો. કોર્ટે કહ્યુ હતુ કે પ્રાઈવસીનો અધિકાર મૌલિક અધિકાર છે અને આ આધાર પર કોર્ટ આજે આ ચુકાદો સંભળાવશે કે શું આધાર એ પ્રાઈવસીનું હનન છે. આજે સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવશે.
આ પણ વાંચોઃ નરોડા પાટિયા કેસમાં 80 સાક્ષીઓના હસ્તાક્ષરની માંગ કરતી અરજીનો હાઈકોર્ટમાં નિકાલ
નાગરિકોને સરકારની દયા પર છોડ્યા
આધારને પડકારનાર વકીલ ગોપાલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે આધાર સ્કીમ દ્વારા નાગરિકોને સરકારની દયાના સહારે છોડી દેવામાં આવ્યા છે. જો કે આધારના ડેટા લીકને ગુનો માનવામાં આવ્યો છે પરંતુ આવી સ્થિતિમાં યુઆઈડીએઆઈ માત્ર ફરિયાદ કરી શકે છે. સુબ્રમણ્યમનું કહેવુ છે કે જો યુઆઈડીએઆઈના નિર્ણયથી કોઈ પ્રભાવિત થાય છે તો આવી સ્થિતિમાં નાગરિક ક્યાં જશે. વળી, કેન્દ્ર તરફથી પણ આ મામલે દલીલ કરવામાં આવી હતી કે આધાર નાગરિક ફ્રેન્ડલી છે.
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં બંધ દરમિયાન હિંસા, બસ ડ્રાઈવરોએ પણ પહેરી લીધા હેલ્મેટ
સરકારનો પક્ષ
સરકાર તરફથી કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે હવે દેશમાં 96 ટકા લોકો પાસે આધાર છે અને સરકારની કોશિશ છે કે જે લોકો પાસે આધાર નથી તે પોતાના આધાર બનાવી લે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે જે લોકો પાસે આધાર નથી તેમને પણ સરકારી યોજનાઓથી વંચિત રાખવામાં નહિ આવે. ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં સરકારનું કહેવુ છે કે વ્યક્તિગત જાણકારી ગોપનીય રાખવામાં આવશે પરંતુ જે રીતે હાલમાં કેટલાક લોકોની આધારની જાણકારી લીક થઈ હતી તેણે સરકારી દાવાની પોલ ખોલી દીધી હતી.